સાચું નેતૃત્વ તટસ્થ અને મોહમુક્ત વિચાર તરફ દોરે

સાચો નેતા કોને કહેવાય? સાચો નેતા હંમેશાં સંમતિ ઊભી કરે. બને ત્યાં સુધી એ હુકમ કરતો જ નથી. એનો નિર્ણય અથવા માર્ગદર્શન એ તમને ખબર પણ ના પડે એ રીતે તમારા નિર્ણયમાં પરિવર્તીત કરી નાખે છે.

હા, જરૂર પડે ત્યાં એ ઠપકારે છે પણ ખરો. જેમ કે, અર્જુન વિષાદ યોગમાં એ સ્પષ્ટ રીતે અર્જુનને કહે છે,

‘કલૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્વચ્યુપપદ્યતે

ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યકત્વોત્તિષ્ઠ પરંતપ’ (ગીતા અધ્યાય ૨, શ્લોક ૩)

અર્જુનના એક પછી એક સંશયનો એ તર્કબદ્ધ ઉત્તર ગીતાજીના અધ્યાય-૨ માં આપે છે. છેવટે એ અર્જુનને સમજાવી દે છે કે ‘જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા, જૂનું શરીર ત્યજી બીજું નવું શરીર પ્રાપ્ત કરે છે.’ (અધ્યાય-૨, શ્લોક-૨૨)

સાંખ્ય યોગ એટલે એક નેતા પોતાના અનુયાયીને કઈ રીતે તટસ્થ અને મોહમુક્ત વિચાર તરફ લઈ જાય છે એનું ઉદાહરણ.

શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,

સુખદુખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ

તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ (ગીતા અધ્યાય ૨, શ્લોક ૩૮)

ટૂંકમાં બહુ સરળતથાથી એવું અર્જુનને કહેવાઈ જાય છે કે તેનું કામ પૂરી શક્તિથી યુદ્ધમાં પ્રવૃત્ત બનવાનું છે. પરીક્ષા હોય, ધંધો કે વ્યાપારની કોઈ સમસ્યા હોય, કોઈ નવું સાહસ હાથમાં લીધું હોય, પ્રતિસ્પર્ધી સાથે જોરદાર હરીફાઈનો સામનો કરી રહ્યા હો ત્યારે શ્રીકૃષ્ણની આ શિખામણ ‘તારું કામ પૂર્ણ ક્ષમતાએ યુદ્ધ કરવાનું છે, જય-પરાજયના હિસાબો માંડવાનું નહીં’ ખૂબ જ અગત્યનું છે.

ગીતાજી કહે છે કે, ‘ઘોડે ચઢે તે પડે પણ ખરો. કર હિંમત, પેંગડામાં પગ નાખ અને માર છલાંગ. તારે તો માત્ર લગામ જ બરાબર પકડી રાખવાની છે.’

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)