ત્રણ પ્રકારના ‘સ’ આપશે આનંદ ચોવીસ કલાક

યુવાવસ્થાની પુત્રીનું સતત મોબાઈલ પર વાત કરવું માતાને ન ગમ્યું, માતાએ એને ટોકી, તો પુત્રીએ એના માનેલા ભાઈને પૈસા આપી માતાની હત્યા કરાવી…

મોંઘો મોબાઈલ અપાવવાની ના પાડતાં પુત્રે પિતાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો…

બે મિત્રો સ્કૂટર પર જઈ રહ્યા હતા. પાછળથી પૂરપાટવેગે આવતી કાર એમને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ. કારવાળાની જરીક ગફલત થાત તો સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો હોત. આગળ જઈ મિત્રોએ પેલા કારવાળાને જેમતેમ રોકી આવી સ્પીડે ને બેદરકારીથી કાર ચલાવવાનું કારણ પૂછ્યું. બન્ને કંઈ સમજે એ પહેલાં તો કારચાલકે સ્ટીલના સળિયાથી મિત્રો પર હુમલો કર્યો. આટલું જ નહીં, પણ ખીસામાંથી ગન કાઢી બન્નેને મારી નાખવાની ધમકી પણ આપી…

ગુસ્સો આવવો અને કોપાયમાન થવું એમાં ફરક છે. આપણે જેને રેજ કહીએ છીએ એ, કોપની અવસ્થામાં માણસ કંઈ પણ કરી શકે, પરિણામની એ ક્ષણે એને પરવા હોતી નથી. આપણે જે પ્રસંગો જોયા એમાં કારણ સામાન્ય છે, પણ પરિણામ અસામાન્ય. કારણ? સહનશક્તિનો અભાવ. સ્કૂટરવાળા કિસ્સામાં કારચાલકે સ્કૂટરવાળાઓને માત્ર એક જ શબ્દ કહેવાનો હતોઃ સૉરી. એણે એમ ના કર્યું, એની દાદાગીરીનો વિડિયો વાઈરલ થયો, પોલીસે એની ધરપકડ કરી, કોર્ટમાં પૈસા ભરી કારચાલકે જામીન મેળવ્યા… કેસ તો ઊભો છે.

નથી લાગતું કે નાની-મોટી ઘટના વખતે લીધેલા આવા ઘાતક નિર્ણયથી આપણે પ્રશ્નને ઉકેલતા નથી, પરંતુ વધુ જટિલ બનાવી દઈએ છીએ? આવા વખતે જરૂર હોય છે સહનશીલતાની, જેની આજે ચોમેર અછત વરતાય છે.

અમદાવાદની ફૅમિલી કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.ડી. સોની પચીસ વર્ષનો જાતઅનુભવ વર્ણવતાં કહે છે કે, “પરિવારમાં ઊભી થયેલી તિરાડ અને લગ્નો તૂટવાનું કારણ છે સહનશક્તિ અને સમજણશક્તિનો અભાવ.”

આપણે બૉક્સિંગનું ઉદાહરણ લઈએ. બાળાબળની આ રમતમાં તમે પ્રતિસ્પર્ધીને કેટલા જોરથી મુક્કા મારો છો તેના કરતાં પ્રતિસ્પર્ધીના મુક્કા સહન કરીને કેટલું ઝઝૂમો છો અથવા એના મુક્કા સહન કરો છો એ મહત્વનું છે. આવી જ રીતે મુશ્કેલી-મુસીબતના મુક્કા સામે સમજણ સાથેની સહનશીલતા જ આપણને લડતાં-ઝઝૂમતાં શીખવે છે, જે મહાન પુરુષો-સાધુસંતોનાં જીવનમાં જોવા મળે છે.

વ્યક્તિના પોતાના શારીરિક, આર્થિક, પારિવારિક કે સામાજિક પ્રશ્નોમાં એણે દાખવેલી સહનશક્તિથી તેના સંસ્કાર અને સજ્જનતાની કિંમત અંકાય છે. સામાન્ય રીતે માણસ સહન તો કરતો જ હોય છે, પણ ગરજથી કે મજબૂરીથી, જ્યારે મહાન પુરુષો સહન એક ચોક્કસ સમજણ સાથે કરતા હોય છે.

એક વાર સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથે બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યાઃ “મારા જીવનમાં ખૂબ દુઃખ છે. ઘડીએ ઘડીએ આનંદ છીનવાઈ જાય છે, આનંદ કેવી રીતે આવે?”

પ્રત્યુત્તરમાં પરમહંસજી કહેઃ “ભાઈ, મને નથી લાગતું કે તમારી સમસ્યાનો મારી પાસે ઉકેલ છે, પણ કક્કો આવડે છે. જુઓ, કક્કામાં ત્રણ પ્રકારના ‘સ’ આવે છે, જે હંમેશાં આનંદમાં રહેવાની ચાવી આપે છેઃ સહન કરો, સહન કરો, સહન કરો. આ જ સુખશાંતિનો ઉપાય છે.”

જીવનનાં 91 વર્ષ જેમણે સમાજના નૈતિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટે અવિરત વિચરણ પાછળ ગાળ્યાં તેવા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ખભો એક વાર સખત દુખતો હતો. સંતોએ પૂછ્યું કે, “આ સહન કઈ રીતે કરો છો?” સ્વામીના જવાબમાં તેમની સહનશીલતા પાછળની ઊંચી સમજણનો સૌને પરિચય થયો. તેમણે જણાવ્યું કે, “રડવાથી દુઃખ ઓછું ન થાય અને બીજાને કહેતાં ફરીએ એમાં બમણું થાય. કેમ કે સાંભળનારને પણ દુઃખ થાય. એકમાત્ર ઉપાય છે શાંતિથી સહન કરવું. અવસ્થા થઈ એટલે આવું તો રહેવાનું જ. ભગવાનની ઈચ્છા સમજીને રાજી રહેવું એ સમજણ રાખીએ તો વાંધો ન આવે.”

સમજણ સાથે સહન કરવું તે આધ્યાત્મિક ગુણ છે અને એટલે જ તેને શિરમોડ સહનશીલતા કહેવાય છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)