છેક 1937માં સ્થપાયેલી સાઉથ કોરિયાની ઑટોકંપની ‘દેવૂ મોટર્સ’ હવે તો જો કે અમેરિકાની ‘જનરલ મોટર્સ’ પાસે છે, પણ એક સમયે વર્ષે વીસ હજાર કરોડ રૂપિયાનું કામકાજ કરતી વિરાટ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કાહેર કાઝેમનો એક જૂનો ઈન્ટરવ્યુ વાંચવામાં આવ્યો. ઈન્ટરવ્યૂમાં પત્રકારે એમને સવાલ કર્યો કે “તમે દિવસના કેટલા કલાક કામ કરો છો?”
પ્રેસિડેન્ટ સાહેબે જવાબ આપ્યો કે, “હું દિવસના ચારેક કલાક કામ કરું છું, સવારે અગિયારથી બપોરે ત્રણ.”
ઈન્ટરવ્યૂકારને નવાઈ લાગીઃ “ચાર જ કલાક? તમને નથી લાગતું કે તમે ઑફિસમાં વધારે સમય બેસો તો નિર્ણયો ઝડપથી લેવાઈ જાય, કામ આગળ વધે, બિઝનેસ વધે. આ તો તમે ત્રણ વાગ્યે જતા રહો તો સ્ટાફે તમારી મંજૂરી માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડે.”
વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું કે, “વાત સાચી, પણ મિસ્ટર, આ કંપની ચલાવવા સિવાય મને વાંચન, સંગીતનો શોખ છે. મારા કેટલાક મિત્રો છે, જેમને મળવું મને ગમે છે. મારો પરિવાર છે, હું પરિવારપ્રેમી છું. એ પછી, કાહેર કાઝેમ જે બોલ્યા એનો ગુજરાતી ભાવાર્થ કંઈ આવો થાય. એ કહેઃ “મારે કંઈ રાત્રિભોજનમાં સોનાની કઢી પીવી નથી.”
અતિધનાઢ્ય હોય કે મધ્યમવર્ગી, દરરોજ સાંજે ખીચડી સાથે કઢી તો દહીં-છાશની જ પીએ છે. બાત જમતા હોય તો એની સાથે તુવરદાળની દાળ આરોગે. માલેતુજારો હોય તેથી કંઈ લિક્વિડ ગોલ્ડની કઢી ન પીએ. કહેવાનો અર્થ એ કે પૈસા, ભૌતિક ચીજવસ્તુઓ પામવાની આંધળી દોટ જીવનમાંથી સુખ-શાંતિ-સંતોષની બાદબાકી કરી નાખે છે.
કૉર્પોરેટ સેમિનારમાં મારા વક્તવ્યમાં પ્રોફેશનલ્સને એક વાત હું હંમેશાં કહું છું કે, તમે આ જગતમાંથી વિદાય લો ત્યારે તમારા બૅન્ક ખાતામાં જેટલા વધારાના પૈસા પડ્યા હોય એ માટે તમે જીવનભર ખોટ્ટી, કાળી ગદ્ધામજૂરી કરી, જે તમારે કરવાની જરૂર નહોતી. કેમ કે એ પૈસા તમારી સાથે આવવાના નથી, તમને ખબર પણ નથી એ કેવી રીતે ખર્ચાશે. એના કરતાં જીવતેજીવ તમે એ પૈસા કોઈ સારી પ્રવૃત્તિમાં ખર્ચ્યા હોત તો?
ઘણા એવું વિચારીને સતત કામ કર્યા કરે છે કે મારાં સંતાનોને પગભર કરું, એમને માટે બિઝનેસના પથારા કરું, વારસામાં એમને બધું આપતો જાઉં… અરે ભાઈ, તમે પોતે જાતમહેનતે આ સ્થાને પહોંચ્યા છો તો તમારા પછીની પેઢી પણ સ્વબળે કમાઈ લેશે. એમને માટે તમારે જીવતર ખર્ચી નાખવાની જરૂર ખરી?
અમેરિકામાં ધનાઢ્યોનું એક મંડળ છે. એની મેમ્બરશિપ મેળવવાનો પહેલો નિયમ એ છે કે સભ્ય બનવા ઈચ્છુકે પોતાની “સંપત્તિમાંથી ઓછામાં ઓછી અડધી સમાજસેવા વાપરીશ” એવું લખી આપવાનું. હા, એ મેમ્બર પોતાને મનગમતી સેવાપ્રવૃત્તિ પસંદ કરી શકેઃ આરોગ્ય, શિક્ષણ, અનાથ બાળકોનો ઉદ્ધાર, વગેરે. મેમ્બરશિપનું ફૉર્મ ભરતી વખતે મિલકતના તથા આટલી રકમ હું અમુકતમુક પ્રવૃત્તિમાં આપીશ એના પુરાવા, દસ્તાવેજ, વગેરે જોડવાના. આ મંડળના પાંચસોથી વધુ મેમ્બર જીવનને સુંદર કેમ બનાવવું એની રીત સમજી ગયા છે.
ધારો કે એક કાગળ પર તમે પૈસાથી ખરીદી શકાતી ચીજોનું લિસ્ટ બનાવો અને બીજા કાગળ પર પૈસાથી ખરીદી ન શકાય એવી ચીજોનું… જેમ કે, ગાડી-બંગલો-ફૉરેનટ્રિપ, વગેરે પૈસાથી ખરીદી શકશો, પણ ખરેખર જીવનમાં જેની વધારે જરૂર છે એ ટ્રસ્ટ-ફ્રેન્ડશિપ-ક્રેડિટ-રિલેશનશિપ-લવ-ગુડવિલ, વગેરે પૈસાથી ખરીદી શકશો?
અલબત્ત, પૈસા કમાવા ખરાબ નથી. પરિવારની સુખાકારી માટે, સંસારચક્ર ચલાવવા માટે, સામાજિક વ્યવહાર માટે નોકરીધંધો કરવાં જ જોઈએ, જીવનમાં આર્થિક સ્થિરતા જરૂરી છે, પણ એક તબક્કે તમારે અંતરદષ્ટિ કરવી જોઈએ કે, સ્થિરતા આવી ગઈ છતાં આટલી દોડાદોડી હું શું કામ કરું છું? એના કરતાં સમાજોપયોગી પ્રવૃત્તિ કરો, પરિવાર-મિત્રો સાથે વધુ સમય ગાળો, આરોગ્ય સાચવો, મનગમતા શોખ પૂરા કરો.
આ છે રહસ્ય સંતોષી નર-નારી સદા સુખી હોવાનું.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
