દિવ્ય પ્રેમને વ્યક્ત કરવાના 11 રસ્તાઓ

પ્રેમ એ અપૂર્ણ છે. અને તે અપૂર્ણ જ રહેવાનો છે. જે કંઈ સંપૂર્ણ છે, તેની સીમાઓ નિશ્ચિત કરી હોય છે. તેની મર્યાદાઓ પણ જોવા મળે છે. પ્રેમને અનંત હોવા માટે તે અપૂર્ણ હોય તે આવશ્યક છે. પ્રેમ એ અનંત/અમર્યાદિત છે અને તે અમર્યાદિત રસ્તાઓ વડે અભિવ્યક્ત થાય છે. તેને વ્યક્ત કરવાની 11 રીતો છે, અથવા 11 રસ્તાઓ છે કે જેના દ્વારા પ્રેમને અભિવ્યક્ત કરી શકાય છે.

(1) ગુણ મહાત્મય શક્તિ: દિવ્યત્વના ગુણોનું આચમન કરવું, દિવ્યત્વના ગુણોની કદર કરવી. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ચાહો છો ત્યારે તેના/તેણીમાં એવું શું છે કે-તમે પ્રેમ કરો છો? તમને કોઈ ગુણો દેખાશે. આ માયાળુ છે,કે આ કાળજી રાખનાર છે. ગુણોનું કોઈ સ્વરૂપના હોય. ઈશ્વરને આ અર્થમાં પ્રેમ કરવો તેનો મતલબ કે-ઈશ્વરના તમામ ગુણોનું આચમન કરવું.

સામાન્ય રીતે દરેક લોકો અન્યના નકારાત્મક ગુણો જૂએ છે, ઈશ્વરમાં પણ તમને કોઈને કોઈ નકારાત્મકતા દેખાશે!!! જે ક્ષણથી તમારું મન પ્રેમમાં નથી, તે આમ જ વર્તશે. જયારે તમે દિવ્ય પ્રેમમાં જીવતાં હોવ, ત્યારે તમે દિવ્યતાના ગુણો જ્યા પણ જોશો તેને વિકશાવશો તેનો આનંદ માણશો.

(2) રૂપ શક્તિ: કેટલાક લોકો ગુણોની કદર કરી શકતા નથી. કારણ કે તેઓ ગુણને ગુણ તરીકે જોતા જ હોતા નથી.  ગુણ સ્વરૂપ વિના જોઈ શકાય નહી. જો તમે આ બારીક ગુણોની કદરના કરી શકો તો તમે ચોક્કસપણે એ સ્વરૂપની કદર કરી શકો કે જે તમારા ખુદ નું સ્વરૂપ છે. સ્વરૂપ દરેક જગ્યાએ હોય છે!! જયારે તમે પુષ્પની કદર કરો છો, ત્યારે તમે તેના સ્વરૂપની કદર કરો છો. જયારે તમે સત્યને ગુણવત્તાના સ્વરૂપે જૂઓ અને તેનો મહિમા કરો, ત્યારે તે તમને ગુણોની પણ પેલીપાર લઇ જાય છે. તે જ રીતે તમે પુષ્પને પ્રેમ કરો અને તેની ખૂબજ કદર કરો તો તમે જોશો કે –તે નિરાકારમાં ઓગળી જાય છે. તમને તમારા મનના ઊંડાણમાં રહેલો અવક્ષ તે ફૂલની અંદર દેખાશે.

(3) પૂજાશક્તિ: પ્રેમ પોતાની અભિવ્યક્તિ પૂજા સ્વરૂપે, સન્માન રૂપે પણ થઇ શકે. જેણે આ પ્રમાણે કર્યું હોય તેને જ તેનાં આનંદની ખબર પડે. તમારા મનની પૂર્ણતાની અવસ્થામાં મન કહેશે-“મારે કશું જ જોઈતું નથી. હું મારી આખી જિંદગી આ જ રીતે ભક્તિ કરતો રહીશ. ”પૂજા શક્તિ એ પ્રેમની નિશાની છે. જો તમે કોક વસ્તુ-વ્યક્તિને પ્રેમ કરતાં હોવ,અને જ્યાં પ્રેમ હોય, તમે જોશો કે તમે જેને પ્રેમ કરતાં હશો, તેની ભક્તિ કરતા થઇ જશો.

(૪) સ્મરણ શક્તિ: જેનો મતલબ છે યાદ કરવું/રાખવું. એ કઈક એવી વસ્તુ છે કે જે-તમારા મનમાં સતત રહે છે. તમે એ જોયું છે કે જો તમે કોઈ વસ્તુને પ્રેમ કરતાં હોવ અને તેની ઈચ્છા કરતાં હોવ તો તે ઈચ્છા તમારા મનમાં છવાયેલી રહે છે. કોઈ વાર તો તમે જાગૃત થાવ કે, તરત જ તે તમારા મન-મગજ પર છવાઈ જાય છે. જયારે તમને કોઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય ત્યારે તમારા મનમાં તેના જ વિચારો હમેંશા માટે ધુમરાયા કરે છે. તેજ રીતે તમે કોઈને ધિક્કારો, ત્યારે પણ તે વિચાર પણ તમારા મનમાં દરેક સમયે ધુમરાયા કરે છે. આને સ્મરણ કહે છે. જો આજ રીતે તમારા મનમાં દૈવી વિચાર હમેંશા માટે ધુમરાયા કરે તો તે કેવું અદભુત હશે?

(5) દાસ્ય શક્તિ: તેનો અર્થ છે-ઈશ્વરના સેવક હોવાની ભાવના. મતલબ કે-“હું માત્ર દિવ્ય શક્તિનો સેવક જ છું. તે શક્તિ મારી કાળજી લે છે. મને જે કહેવામાં આવે છે, તે હું કરું છું. મારું જીવન અહીંથી કંઈક મેળવવા માટે નથી. હું આ જગતમાં તેની સેવા કરવા આવ્યો છું. સેવાનો મતલબ જ એ છે કોઈ બદલાની આશાના રાખવી. ડીવાઈન/ઈશ્વર જે કોઈ સેવા મારી પાસેથી ઇચ્છશે તે હું કરીશ. તે જે કોઈને મારી પાસે મોકલશે હું તેઓને મદદ કરીશ.” આ દાસ્ય શક્તિ છે.

(6) સખા શક્તિ: ઈશ્વર સાથે સખાની ભાવના. ઘણાંને દાસત્વ ગમતું નથી, સખા/સાથી શક્તિનો અર્થ એ છે કે –હું મારા ઈશ્વરનો માનીતો છું. તે મારો ચહીતો છે. હું તેને રાજી રાખવા ગમે તે કરી છૂટીશ. અહીં જ તો દિવ્યતા/ઈશ્વર સાથે ભય વગર ઓતપ્રોત થવાની શરૂઆત થાય છે. અને આ ભાવના તમારા અંદરથી આવવી જઈએ. એવું નથી એક વ્યક્તિ બીજી કરતાં ચડિયાતી છે. ગીતાનો બોધ અર્જુનને આપવામાં આવ્યો હતો અને અર્જુન એ કૃષણને પોતાના સખા, સાથી બનાવ્યા હતા. અને તેથી જ કૃષ્ણ જગદગુરુ કહેવાયા. આખા બ્રહ્માંડના શિક્ષક/ગુરુ. તેઓ ગુરુ અને મિત્ર બંને હતા.

(7) વાત્સલ્ય શક્તિ: વાત્સલ્યનો મતલબ છે-પ્રેમાળ. પ્રેમાળ હોવાને કારણે આપણે ઈશ્વરને તેનાં નટખટ બાળ-સ્વરૂપે નિહાળી શકીએ છીએ, વાત્સલ્ય શક્તિમાં તમે બાળકની કાળજી લો છો તે ભક્તિ સ્વરૂપ લે છે,અથવા ઈશ્વર પ્રત્યે માતા જેવી કાળજી લેતાં હોવ તેવો ભાવ જાગે છે. ત્યારે ભક્ત ઈશ્વરને હુકમ કરતો હોય છે. તેની પાછળ આવી મધુર લાગણી હોય છે. ભક્ત ઈશ્વરને કહેશે કે-“જો તું તેમ કરીશ તો, હું તારા પર ગુસ્સે થઈશ; જો તું તારી હાજરીનો અહેસાસ આજે નહી કરાવ તો, હું કાલથી તારી સાથે અબોલા લઇ લઈશ. “આમ જેમ માં પોતાનાં બાળક સાથે વર્તે છે, તેવી જ રીતે ભક્ત ઈશ્વર સાથે વર્તે છે. આ પ્રકારની નિકટતા એ વાત્સલ્ય શક્તિ છે.

(8) કાન્તા શક્તિ: આ પ્યારા પતિ-પત્નીનો સબંધ છે. ઈશ્વર તમારો જ અંશ જ છે તેવી લાગણી,” તે મારી ઘણી  કાળજી લે છે; કે મારા સિવાય તેનું અસ્તિત્વ જ શક્ય નથી.!! તે મારા સિવાય રહી જ કેમ શકે?.”

(9) આત્મ નિવેદન શક્તિ: પોતાની જાતને સમર્પિત કરવી. તે પ્રેમનું ઉદ્દાત સ્વરૂપ છે. જેમ કે-“મારા શ્વાસ,મારું અસ્તિત્વ માત્ર એ સર્વે તારું જ છે. મારા અસ્તિત્વનો દરેક કણ તને સમર્પિત છે. મારા શ્વાસ કે જે હું લઉં છું એ પણ તારા જ છે. હું તારો જ છું..”તે સંપૂર્ણ શરણાગતિ;”મારી જિંદગીનું તારે જે કરવું હોય તે કર!! તે તારી જ છે!! મારું કઈ જ નથી. આ હું/મારું નો એક પણ અંશના હોય તે આત્મનિવેદન શક્તિ છે.

(10) તન્મય શક્તિ: આ પ્રત્યેકમાં ઈશ્વરનો જ વાસ જોવાની વાત છે. વિશ્વમાં સઘળું તારું જ છે. પ્રાણની સમગ્રતા, પર્ણના પ્રવાહને સર્વેમાં નિહાળવાની દ્રષ્ટિ એ તન્મય શક્તિ. દૈવી/દિવ્ય શક્તિના પ્રેમમાં તરબોળ થઇ જવું, તે તન્મયતા છે,તન્મય શક્તિ છે. બધું જ ઈશ્વરમય તરબોળ છે માત્ર તેને ઓળખવાની જ જરૂર છે.

(11) પરમ વિશ્વાસ શક્તિ: વિરહ એટલે ખૂબજ પીડા અને વિખુટા પડ્યાનું દુ:ખ અને મળવાની ઝંખના. આજ દિવ્ય પ્રેમનું લક્ષણ છે. પ્રેમ કદી પણ પૂર્ણ હોતો નથી, કારણ કે-તેમાં ઝંખના છે. આ ઝંખના જ પ્રેમને અપૂર્ણ અને અનંત બનાવે છે. તેથી જ વિરહની પીડા એ જ દિવ્ય પ્રેમ છે. તે પીડા દાયક ઝંખનામાંથી પ્રાર્થનાની સરવાણી ફૂટે છે. આ પીડા જેના નસીબમાં હોય છે તે ધન્ય છે. સામાન્ય રીતે લોકો કોઈને પ્રેમ કરે છે, અને તે મેળવવાની ઝંખના હોય છે, તેઓ તેમાંથી છુટકારો મેળવવા પ્રયત્ન કરે છે, કારણકે –આ ખૂબજ પીડાદાયક હોય છે. જેમ તમે તેનાંથી દુર ભાગવાનો પ્રયત્ન, તમે માત્ર ઝંખના જ નહી પરંતુ પ્રેમનો પણ નાશ કરો છો. પરંતુ જો તમે વિરહના દુઃખનો સ્વીકાર કરો/અપનાવી લ્યો, તો તમે તેની અનંતતાને ઓળખી/કદર કરી શકો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)