ઓપરેશન સિંદૂરથી ‘સબૂત ગેંગ’ ખુશ નથીઃ ભાજપ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી પહેલા જ દિવસે રાહુલ ગાંધી, જયરામ રમેશ જેવા કોંગ્રેસના નેતાઓએ ભારતની સેના અને ભારતના શૌર્ય પર પ્રશ્ન ઉઠાવ્યા છે, એમ ભાજપના પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સબૂત ગેંગ’ ભારતની કાર્યવાહીથી ખુશ નથી. તેમણે કહ્યું હતું કે જયરામ રમેશ ગાંધી પરિવારના જમણા હાથ છે. તેમણે આતંકવાદીઓની સરખામણી સાંસદો સાથે કરી છે. સાંસદ લોકો ફરવા ગયા નહોતા, તેઓ ભારતના પક્ષને વિશ્વ મંચ પર રજૂ કરવા ગયા હતા. તેમાં તમારા પણ સાંસદો સામેલ છે, જેમણે સારી રીતે ભારતનો મત દર્શાવ્યો છે.

 તેમણે વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી, જયરામ રમેશ, રેવંત રેડ્ડી પૂછે છે કે કેટલાં રાફેલ વિમાનો પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે.  આજે ‘પાકિસ્તાનના બબ્બર છે, એ ભારતના ગબ્બર’ છે. તેમણે આગળ કહ્યું હતું કે ભારતની જય અને વીરતા કારણે ગબ્બરની હાર નિશ્ચિત છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ એ નહિ પૂછ્યું કે કેટલાં પાકિસ્તાની એરબેઝ નષ્ટ કરાયાં, કેટલાં આતંકવાદી માર્યા ગયા, પણ તેમણે માત્ર એ પૂછ્યું કે કેટલાં ભારતીય વિમાનો તોડી પડાયાં. આજે કોંગ્રેસમાં બે જૂથ છે – એક જે પાકિસ્તાનને સમર્થન આપે છે અને બીજું જે દેશ માટે અવાજ ઉઠાવવા માગે છે, પણ અમુક નેતાને કારણે એ શક્ય નથી.

દેશમાં એવો પણ સમય હતો જ્યારે આતંકવાદીઓને PMOમાં બોલાવવામાં આવતા. આપણે એ દિવસ પણ યાદ કરવા જોઈએ જ્યારે સોનિયા ગાંધી આતંકવાદીઓની લાશ જોઈને રડી હતી.
તેમણે કહ્યું હતું કે ભારતીય સેના એ આતંકવાદીઓના નવ અડ્ડાઓનો નાશ કર્યો છે. તેની સેટેલાઈટ તસવીરો પણ બતાવવામાં આવી. DGMOએ તમામ તથ્યો રજૂ કર્યાં જ છે. છતાં કોંગ્રેસ સવાલો પૂછે છે.