નકલી પીએસઆઈ કેસ : મયુર તડવીનો IVA અને SDS ટેસ્ટ કરાવામાં આવશે

PSI મયુર તડવીનો IVA અને SDS ટેસ્ટ કરાવામાં આવશે. જેમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આગામી દિવસોમાં ટેસ્ટ કરવામાં આવશે. તેમજ મયુરની તપાસમાં કોઈ રૂપિયા ન આપ્યા હોવાનો ખુલાસો પણ થયો છે. તથા તડવીના મોબાઈલ ડેટા રીકવર કરવામાં આવ્યો છે. જેમાં મોબાઈલમાં જ ડોક્યુમેન્ટ એડિટ કરી ઝેરોક્ષ કઢાવી હતી.

ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થવા છતાં કરાઈમાં ટ્રેનિંગ લેવા માટે પહોંચી ગયેલા બોગસ પીએસઆઈ મયૂર તડવીના કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મયૂર તડવી ફિઝિકલ ટેસ્ટમાં ફેલ થવા છતાં તેણે કરાઈમાં એન્ટ્રી કરી તે કેસમાં બેદરાકારી દાખવનારા બે પોલીસ ઈન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે. આ સિવાય પીએસઆઈ ભરતીનું વેરિફિકેશન કરનારા એસઆરપીના ચાર જવાનોને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ કેસની વધુ તપાસ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપવામાં આવી છે. મોટી કાર્યવાહી બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ સરકારનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, આ મુદ્દે સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

ફિઝિકલ ટેસ્ટમાં ફેલ થવા છતાં કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પહોંચીને PSIની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને પકડી પાડવામાં આવ્યા પછી આ રીતે અન્ય કોઈ ઉમેદવારો ટ્રેનિંગ સેન્ટરમાં છે કે નહીં તેની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ માટે ઉમેદવારોની બાયોમેટ્રિક તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સિવાય આરોપીની ધરપકડ બાદ તેના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી, આ તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો, પોલીસ ઈન્સ્પેક્ટર અને ભરતીમાં વેરિફિકેશનની મહત્વની કામગીરી કરી રહેલા SRPના 4 જવાનોની બેદરકારી સામે આવી. પીએસઆઈ ભરતી કૌભાંડ સામે આવતા જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં હાલ ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારોની સાથે 2021માં ટ્રેનિંગ પૂર્ણ કરી ચૂકેલા તમામનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવાયું છે. આ વેરિફિકેશન અગાઉ પણ થયું છે ત્યારે કઈ રીતે મયૂર તડવી તેમાંથી છટકી ગયો તે પણ મોટો સવાલ છે. હવે આ કેસમાં બે પોલીસ ઈન્સ્પેક્ટર અને વેરિફિકેશનની કામગીરી કરનારા SRPના 4 જવાનોની બેદરાકારી સામે આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.