PM મોદીની વૈશ્વિક સક્રિયતા એ ભારતની મુખ્ય તાકાત : શશિ થરુર

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સોમવારે વૈશ્વિક સ્તરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે તેમની ઊર્જા, સક્રિયતા અને વાતચીત કરવાની ઇચ્છા ભારત માટે એક મોટી સંપત્તિ છે. જોકે, શશિ થરૂરની ટિપ્પણી કોંગ્રેસ પાર્ટીની સત્તાવાર લાઇન સાથે મેળ ખાતી નથી, જે સતત મોદી સરકારની વિદેશ નીતિની ટીકા કરી રહી છે. કોંગ્રેસ નેતાનો આ લેખ એક અખબારમાં પ્રકાશિત થયો છે, જેમાં તેમણે તાજેતરના ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારતની રાજદ્વારી પહેલને ‘રાષ્ટ્રીય સંકલ્પ અને અસરકારક વાતચીત’નું ઉદાહરણ ગણાવ્યું છે.

શશિ થરૂરે તેમના લેખમાં લખ્યું છે, ‘વડા પ્રધાન મોદીની ઊર્જા, સક્રિયતા અને વૈશ્વિક સ્તરે વાતચીત કરવાની ઇચ્છા ભારતની એક મુખ્ય તાકાત છે, જેને વધુ સમર્થન મળવું જોઈએ.’ તેમણે કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારતની રાજદ્વારી સક્રિયતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ મજબૂત બનાવી.

એકતાને કારણે રાજદ્વારી વિજય – થરૂર

કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમણે સાત સભ્યોના બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું, જેણે અમેરિકા સહિત ગુયાના, પનામા, કોલંબિયા અને બ્રાઝિલ જેવા દેશોની મુલાકાત લીધી. આ મુલાકાતોનો હેતુ વિશ્વને ખાતરી આપવાનો હતો કે ભારતનો હુમલો આતંકવાદ સામે સ્વ-બચાવનું પગલું હતું, કોઈ પણ રાષ્ટ્ર સામે યુદ્ધ નહીં. તેમણે કહ્યું, ‘આપણી એકતાએ વિશ્વને એક મજબૂત સંદેશ આપ્યો કે ભારત આતંકવાદના મુદ્દા પર એક અવાજમાં બોલે છે, ભલે આંતરિક રાજકારણમાં ગમે તેટલા મતભેદો હોય.’

શશી થરૂરે દાવો કર્યો કે ભારતની રાજદ્વારીની સફળતા એ હકીકતથી સાબિત થાય છે કે કોલંબિયાએ તેનું અગાઉનું નિવેદન (જેમાં પાકિસ્તાનમાં નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો) પાછું ખેંચ્યું અને ભારતના સ્વ-બચાવના અધિકારને ટેકો આપ્યો. તેમણે કહ્યું કે ભારતીય પક્ષને અમેરિકામાં પણ સહાનુભૂતિ મળી, ભલે ત્યાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળ હાજર હતું. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સામે નક્કર કાર્યવાહી થવી જોઈએ તેવા ભારતના મંતવ્યને અમેરિકન અધિકારીઓએ સમર્થન આપ્યું.