છેલ્લા એક મહિનાથી મિડલ ઈસ્ટમાં વોર, 3,400 થી વધુ લોકોના મોત

અમેરિકાના પ્રખ્યાત માનવાધિકાર જૂથ HRANA (Human Rights Activists News Agency) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ આંકડાઓ હોસ્પિટલો, નાગરિક સમાજ નેટવર્ક અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સના આધારે એકત્રિત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૩,૪૬૧ મૃતકોમાંથી ૧,૫૫૧ લોકો એવા હતા જેમને યુદ્ધ સાથે કોઈ સીધો સંબંધ નહોતો, એટલે કે તેઓ સામાન્ય નાગરિકો હતા. આ યુદ્ધની સૌથી દુખદ બાબત એ છે કે તેમાં ૨૩૬ માસૂમ બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે આધુનિક હથિયારોના ઉપયોગ વચ્ચે સામાન્ય જનતા કેવી રીતે પીસાઈ રહી છે. જોકે, હજુ સુધી આ આંકડાઓની સત્તાવાર સરકારી પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ જમીની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.

ઈરાન આ યુદ્ધમાં સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસન્ટ સોસાયટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧,૯૦૦ લોકોના મોત થયા છે અને ૨૦,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડાઓમાં શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકી હુમલામાં નાશ પામેલા ઈરાની યુદ્ધજહાજ પર સવાર ૧૦૪ સૈનિકોનો સમાવેશ થાય છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. ઈરાની સૈન્ય મથકો અને મિસાઈલ સ્ટોરેજ પર સતત થતા હુમલાઓને કારણે મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.

બીજી તરફ લેબનાનમાં પણ સ્થિતિ અત્યંત વિસ્ફોટક છે. ૨ માર્ચ ૨૦૨૬થી ઈઝરાયેલ દ્વારા લેબનાન પર કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં ૧,૨૩૮ લોકો માર્યા ગયા છે, જેમાં ૧૨૪ બાળકો સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યુદ્ધમાં હિઝબુલ્લાહના ૪૦૦ થી વધુ લડાયક સભ્યો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. લેબનાની સેનાએ પણ પોતાના આઠ જવાનો ગુમાવ્યા હોવાની પુષ્ટિ કરી છે, જેમના મોત દક્ષિણ લેબનાનમાં થયેલા હુમલામાં થયા હતા. લેબનાનને યુદ્ધના બીજા મોરચા તરીકે ઉપયોગ કરવાના ઈરાનના નિર્ણયને કારણે ત્યાંની સામાન્ય જનતા પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે.

યુદ્ધની આ જ્વાળાઓ માત્ર ઈરાન કે લેબનાન પૂરતી સીમિત નથી, પરંતુ પાડોશી દેશ ઈરાકમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઈરાકના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, સંકટ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ત્યાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં સામાન્ય નાગરિકો ઉપરાંત ઈરાન સમર્થિત શિયા પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસના સભ્યો, અમેરિકાના સાથી ગણાતા કુર્દ પેશમર્ગા લડવૈયાઓ અને ઈરાકી સેનાના સૈનિકોનો સમાવેશ થાય છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો આ સૈન્ય સંઘર્ષ હવે એક મોટા માનવીય સંકટમાં ફેરવાઈ રહ્યો છે, જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થયા છે અને આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે.