ઇસરોના ત્રીજા મૂન મિશન પર વિશ્વઆખાની નજર

નવી દિલ્હીઃ દેશનું ત્રીજું મૂન મિશન આશરે 40 દિવસોની યાત્રા પછી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડિંગ કરશે. ચંદ્ર મિશન 2019ના ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે. ચંદ્રયાન-2 મિશન દરમ્યાન અંતિમ ક્ષણોમાં લેન્ડર વિક્રમ પથ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ નહોતું થયું. જો આ વખતે આ મિશનમાં સફળતા મળશે તો ભારત એવી સફળતા હાંસલ કરીને અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે. ચંદ્રયાન-3 પર વિશ્વઆખાની નજર છે.

ચંદ્રયાન-3 લોન્ચિંગ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઇસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3એ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. એ દરેક ભારતીયના સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓની ઊંચી ઉડાન ભરે છે. આ અમારા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.

ચંદ્રયાન-3 મિશન અંગે મહત્ત્વની માહિતી

  • ચંદ્રયાન-3 પહેલી પરીક્ષામાં પાસ થયું છે, કેમ કે એના લોન્ચિંગ પછી આશરે 179 કિમીની ઊંચાઈ પર ચંદ્રયાન-3 રોકેટથી અલગ થઈ ગયું છે.
  • 16 મિનિટ પછી ચંદ્રયાન-3ને રોકેટે ઓર્બિટમાં સ્થાપિત કર્યું છે.
  • ચંદ્રયાન-3એ ચંદ્રમા તરફની યાત્રા શરૂ કરી દીધી છે.
  • ચંદ્રયાનનું વજન આશરે 3900 કિલોગ્રામ છે
  • ચંદ્રયાન-3 એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડ્યુલથી લેસ છે
  • ચંદ્રયાન-3ના લોન્ચ થયા પછી બુસ્ટર અને પેલોડને રોકેટથી અલગ કરી દીધું છે.
  • ચંદ્રયાન-3 ત્રીજા અને અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને હવે ક્રાયોજેનિક એન્જિન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે.
  • ચંદ્રયાન-3નો કુલ ખર્ચ રૂ. 615 કરોડ થયો છે.
  • આ મૂન મિશન 42 દિવસની યાત્રા પછી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડ કરશે.
  • ચંદ્રયાન-3 ધરતીથી ચંદ્રની 3.84 લાખ કિલોમીટરનું અંતર 40 દિવસોમાં કાપશે. એ દરમ્યાન રોકેટ 36,000 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપથી ચાલશે.

ચંદ્રયાન-3 મિશન કેમ ખાસ?

ચંદ્રયાન મિશન દ્વારા ઇસરો ચંદ્ર પર થતી ઘટનાઓ અને રસાયણો માલૂમ કરશે. ઇસરોએ આ મિશન 2008માં શરૂ કર્યું હતું. આ મિશન શરૂ થયા પછી 312 દિવસ પછી ચંદ્રયાનથી ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો. ઇસરોના વડાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-1એ એનું 95 ટકા કામ પૂરું કર્યું હતું. ત્યાર બાદ 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન આંશિક રૂપે સફળ થયું હતું. જોકે આ મિશન સફળ થશે તો ભારત ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સફળ રૂપે ઊતરનાર પહેલો દેશ બની જશે.