2025 સુધીમાં ભારતને ટીબી-મુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્યાંક

નવી દિલ્હીઃ આજે દુનિયાભરમાં ફેફસાંના ક્ષયરોગ-વિરોધી દિવસ ‘વર્લ્ડ ટીબી ડે’ મનાવાઈ રહ્યો છે ત્યારે ભારત સરકાર 2025ની સાલ સુધીમાં દેશમાંથી ટીબી (ટ્યૂબરક્યૂલોસિસ) રોગને નાબૂદ કરવા મક્કમ છે.

દેશમાંથી આ હઠીલા રોગને નાબૂદ કરી દેશને ટીબી-મુક્ત કરવાનું કામ અત્યંત કપરું છે, પરંતુ ભારત સરકારે લક્ષ્યાંક કરતાં પાંચ વર્ષ વહેલું, 2025માં જ આ રોગથી દેશને મુક્ત કરવાને ટોચની પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) ટાર્ગેટમાં, ભારત માટે 2030ના વર્ષને ટીબી-નાબૂદી લક્ષ્યાંક ગણાવ્યું છે, પરંતુ ભારત સરકાર પાંચ વર્ષ વહેલા જ આ રોગને ખતમ કરવા માગે છે.