ક્રેડિટ કાર્ડની વિલંબિત ચુકવણી માટેના ચાર્જીસ કેટલા? જાણો…

નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ બિલની સમયસર ચુકવણી કરવી એ દરેક જણની પ્રાથમિકતા હોય છે, કેમ કે એમ ના કરવાથી પેનલ્ટી ચાર્જ લાગતો હોય છે. વધુમાં ઊંચો વ્યાજદર અને ક્રેડિટ સ્કોર પણ ઘટે છે.  આપણે આ બધું જાણીએ છે, પણ ક્યારેક મહિનાનો અંત હોય કે રોકડખેંચ હોય કે ઇમર્જન્સી આવે અથવા અન્ય કોઈ કારણને લીધે કાર્ડની ચુકવણીની તારીખ નીકળી જતી હોય છે.

જો તમે ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરવાની તારીખ ચૂકી ગયા હો તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશા-નિર્દેશો મુજબ ક્રેડિટ કાર્ડ આપનાર બેન્ક તમારા ખાતાને ક્રેડિટની માહિતી આપનાર કંપનીઓને માહિતી મોકલી શકે છે. વળી, જો ચુકવણીમાં ત્રણ દિવસ કરતાં વધુનો વિલંબ થાય તો કાર્ડ ઇસ્યુઅર વિલંબિત કાર્ડની ચુકવણી માટે પેનલ્ટી લગાડી શકે છે.RBIના નિર્દેશ મુજબ કાર્ડ ઇસ્યુઅર પેમેન્ટ ચૂકવવાની તારીખથી ચૂકવવાની તારીખ સુધીની પેનલ્ટી લગાડી શકે છે, જે કાર્ડના સ્ટેટમેન્ટમાં દર્શાવેલું હોય છે. આ ઉપરાંત વ્યાજ કે પેનલ્ટી ચાર્જીસ માત્ર બાકી રહેતી રકમ પર લગાડવામાં આવવું જોઈએ, નહીં કે કાર્ડ હોલ્ડરની કુલ રકમ પર. વળી, ક્રેડિટ કાર્ડ ઇસ્યુઅર આ ચાર્જીસમાં ફેરફાર ક્રેડિટ કાર્ડહોલ્ડરને કમસે કમ એક મહિનાની નોટિસ મોકલાવ્યા પછી બદલી શકે છે.

જો તમને પેનલ્ટી કે ચાર્જ વધુ લાગે તો તમે તમારા કાર્ડની બધી રકમની ચુકવણી કર્યા બાદ કાર્ડ પરત આપી શકો છે. જો ઇસ્યુઅર કાર્ડ બંધ કરવા માટે  કોઈ વધારાનો રકમની ચુકવણી કરાવી ના શકે. જ્યારે તમે એકાઉન્ટ બંધ કરવા માટે અરજી કરો છો, ત્યારે એની પ્રક્રિયા સાત કામકાજના દિવસમાં કરવાની રહે છે.