કોંગ્રેસ 39 વિધાનસભાની ચૂંટણી હારી ચૂકી છેઃ મનીષ તિવારી

નવી દિલ્હીઃ આનંદપુર સાહિબમાંથી કોંગ્રેસના સંસદસભ્ય મનીષ તિવારી અસંતુષ્ટ નેતાઓના G-23 જૂથનો હિસ્સો છે, જે પાર્ટીના સંગઠનાત્મક સુધારા અને વધુ જવાબદારી પર ભાર મૂકે છે. હાલમાં G-23ના નેતાઓની બેઠક થઈ હતી, જેમાં વિધાનસભાની ચૂંટણીઓ પર ચર્ચા થઈ હતી અને એમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટીએ આગળ વધવા માટે સામૂહિક અને સમાવેશી નેતૃત્વની વ્યવસ્થા થાય. મનીષ તિવારીએ કહ્યું હતું કે પાર્ટી કદાચ કોંગ્રેસમુક્ત ભારત તરફ આગળ વધી રહી છે.

તેમણે કહ્યું હતું કે પાર્ટીના 18 વરિષ્ઠ નેતાઓએ ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને મુલાકાત કરી હતી, જેમાં પાંચ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, સાત ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો અને અન્ય ભૂતપૂર્વ સંસદસભ્યો સામેલ હતા. અમે મહત્ત્વના સુધારા સાથે એક પત્ર લખ્યો હતો, જેમાં પાર્ટીને જીવંત કરવા માટે જરૂરી હતા. ત્યારથી કોંગ્રેસ 11 રાજ્યોમાં હારી ચૂકી છે.

તેમણે કહ્યું હતું કે વાસ્તવિકતા અને નિર્ણયોની વચ્ચે એક ખાઈ છે. કોંગ્રેસ અસ્તિત્વના સંકટથી ઝઝૂમી રહી છે. અમે 2014થી 2019માં હાર્યા અને 2014થી 49 વિધાનસભાની ચૂંટણીમાંથી અમે 39 ચૂંટણી હારી ગયા છીએ. અમે માત્ર ચાર ચૂંટણી જીતી શક્યા છીએ. અમે વાસ્તવમાં એ બહુ ગંભીર સ્થિતિ જોઈ રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.