નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘એનએમએસીસી બચપન’ ઉત્સવનું આયોજન

મુંબઈ: નીતા અંબાણીએ ભાવિ પેઢીઓ માટે કળા અને સંસ્કૃતિનું જતન કરવાનું ધ્યેય રાખ્યું છે અને એના ભાગરૂપે અત્રેના ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે’ બાળકો અર્થે ‘એનએમએસીસી બચપન’ નામનો વિશેષ કાર્યક્રમ રાખ્યો છે. 2થી 14 વર્ષનાં બાળકો માટેની એ ખાસ પ્રસ્તુતિ રહેશે.

બાળકો જેમ જેમ મોટાં થતાં જાય એમ એમ સતત કંઈક નવું શીખતાં હોય છે અને એમનામાં સર્જનશક્તિ ખીલતી જતી હોય છે. આ જ બાબતને ‘એનએમએસીસી બચપન’ના કેન્દ્રમાં રાખવામાં આવી છે. બાળકો એમના વિકાસ માટેનાં આ વર્ષોમાં આનંદપ્રદ રીતે અને એકબીજા સાથે આદાનપ્રદાન કરીને કળા તથા સંસ્કૃતિ વિશે કંઈક શીખે એ માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. સાથે જ વાલીઓ પણ એમનાં સંતાનોના વિકાસની આ પ્રક્રિયાનાં સાક્ષી બને એવો આ કાર્યક્રમનો પ્રયાસ છે. આથી જ ‘એનએમએસીસી બચપન’માં આનંદ અને શિક્ષણ એ બન્નેનો સમન્વય કરવામાં આવ્યો છે.

એનએમએસીસીના સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણીએ કહ્યું છે કે બાળકો માટેના વિશેષ ‘એનએમએસીસી બચપન’ ઉત્સવનું 11 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસોમાં અનોખા શૉ, સર્જનશીલતા માટેની કાર્યશાળાઓ સહિતના વિશેષ કાર્યક્રમો રાખવામાં આવશે. એના દ્વારા બાળકો મનોરંજનની સાથે સાથે પ્રેરણા પણ મેળવશે. આ ઉત્સવ વિવિધલક્ષી છે. કળા અને સંસ્કૃતિનો વિષય પણ બાળકોને આનંદ આપે અને એમના જીવનનો ભાગ બને એ માટે બાળકોને તથા એમના પરિવારજનોને ‘એનએમએસીસી બચપન’ માટે ખાસ આમંત્રણ આપવામાં આવે છે.

‘એનએમએસીસી બચપન’નો પ્રારંભ 20મી જુલાઈએ થશે. એમાં 2થી 14 વર્ષનાં બાળકો ભાગ લઈ શકશે. સ્ટુડિયો થિયેટર, ધ ક્યુબ તથા સેન્ટર ખાતેના અને જાહેર સ્થળોએ યોજાયેલા આ ઉત્સવમાં બાળકોને અનેક પ્રવૃત્તિઓ દ્વારા કળા-સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવશે. ભારતની જાણીતી ટૂંકી વાર્તાઓ, લાઇવ સાયન્સ શૉ, જામિંગ સેસન, નૃત્ય અને સર્કસનું મિલન કરતી ખાસ પ્રસ્તુતિ, મનોરંજક પ્રાદેશિક નાટકો, મોજમસ્તીભર્યાં નૃત્યો, હસતાં-રમતાં કળાત્મક પ્રવૃત્તિઓ, ટેક વર્કશોપ, વગેરે કાર્યક્રમો દ્વારા ઉત્સવની ઊજવણી કરવામાં આવશે.

બાળકોમાં કળા પ્રત્યે આજીવન અભિરુચિ જાગે એવા ઉદ્દેશ્ય સાથે ગ્રાન્ડ થિયેટરમાં કળા પ્રદર્શન રખાશે. ‘ફેબલેબ શૉ’ નામના કાર્યક્રમમાં ‘ચીપ’ નામનો સાયન્સ રોબોટ કો-હોસ્ટ બનશે અને ભારતની વખણાયેલી ટૂંકી વાર્તાઓનો અનોખો માહોલ સર્જવામાં આવશે. આ શોમાં રવીન્દ્રનાથ ટાગોરની ‘કાબુલીવાલા’ વાર્તાની નાટ્યાત્મક પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.

એકબીજા સાથે આદાનપ્રદાન કરી શકાય એવી ખાસ પ્રસ્તુતિમાં સ્વદેશ પ્રદર્શનને પણ આવરી લેવામાં આવશે. એમાં ‘લિટલ સ્વદેશ કિલકારી’ એડિશન લૉન્ચ કરવામાં આવશે. આ લૉન્ચિંગ ખાસ ઊભા કરવામાં આવેલા કળા-હસ્તકળા ઝોનમાં કરવામાં આવશે. બાળકોને કઠપૂતળી બનાવવાની પ્રવૃત્તિનો પરિચય કરાવવા ઉપરાંત ભરત-ગૂંથણ દ્વારા રમકડાં બનાવવાની પ્રવૃત્તિ પણ શીખવવામાં આવશે. ભારતના વિવિધ ભાગોમાંથી પરંપરાગત રમતોની ખૂબીઓ પણ બાળકોને બતાવવામાં આવશે, જેથી ‘લિટલ સ્વદેશી કિલકારી’ મારફતે બાળકોને ભારતીય પરંપરાઓનો પરિચય થાય.

‘એનએમએસીસી બચપન’માં અનેક પ્રકારના કાર્યક્રમો થશે, જેમ કે થિયેટર, વર્કશોપ, હસ્તકળા, વગેરે. આ કલ્ચરલ સેન્ટરમાં ભવિષ્યમાં યોજાનારા કાર્યક્રમો માટે આ અનુભવ ઘણો ઉપયોગી સાબિત થશે.