મુંબઈઃ ટેલિવિઝનના લોકપ્રિય શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ છેલ્લાં 16-17 વર્ષથી નાના પડદા પર રાજ કરી રહ્યો છે. આ શોના દર્શકો દુનિયાભરમાં છે. કેટલાક તો એવા છે કે જમવાનું પણ આ શોના એપિસોડ જોઈને જ કરે છે. આ શોની માત્ર વાર્તા જ નહીં, પણ એનાં પાત્રો પણ લોકોના દિલમાં ઘૂસી ગયાં છે. આ જ કારણ છે કે દયાબહેનનું પાત્ર નિભાવતી દિશા વાકાનીના શો છોડ્યા બાદ મેકર્સ આજ સુધી કોઈ બીજું મુખ્ય પાત્ર એ પાત્રની બદલીમાં લાવી શક્યા નથી.
હાલમાં શોના ઘણા જૂના કલાકાર જેમ કે શૈલેશ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી વગેરે શો છોડીને જઈ ચૂક્યા છે અને હવે એવી ખબર આવી રહી છે કે ‘જેઠાલાલ’નો રોલ નિભાવતા દિલીપ જોશી અને ‘બબિતાજી’નો રોલ કરનારી મુનમુન દત્તાએ પણ આ શો છોડી દીધો છે. બંને આર્ટિસ્ટ શોના તાજેતરના ભૂતિયા એપિસોડમાં જોવા મળ્યા ન હતા, જેને કારણે તેઓ ચર્ચાઓનો વિષય બની ગયો છે. ચાલો જાણીએ આખરે આ મામલો શું છે અને મેકર્સનો આ મુદ્દે શું પ્રતિસાદ છે.
હાલના ટ્રેકમાંથી ગુમ રહ્યા ‘જેઠાલાલ’ અને ‘બબિતાજી’
આ શોમાં સૌથી વધુ દર્શકોને આકર્ષે છે, તે છે ‘જેઠાલાલ’ અને ‘બબિતાજી’ની મસ્તીભરી નોંકઝોંક. બંનેનો અભિનય પણ લોકોને બહુ ગમે છે. એવી સ્થિતિમાં જો તેઓ શોમાં નહીં હોય, તો કદાચ શો પહેલાં જેટલી સફળતા હાંસલ ન કરી શકે. હાલમાં શોમાં ફરીથી એક ‘ભૂતનો’ ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે. કથાનો પ્લોટ એવું છે કે ‘તારક’ના બોસ તેમની અને તેમની પત્ની માટે હોલિડે હોમમાં વેકેશનની ઓફર કરે છે, કારણ કે તેઓ ‘તારક’ના કામ અને કંપનીના નફાથી ખુશ છે.
જેથી ‘તારક’ ગોકુલધામ સોસાયટીના બધા જ લોકોને પણ સાથે લઈ જવાની મંજૂરી માગે છે અને બોસ એ મંજૂરી આપે છે. જોકે એ દરમ્યાન દર્શકોએ નોંધ્યું કે દિલીપ જોશી, મુનમુન દત્તા અને ઐયર-તનુજ મહાશબ્દે એ એપિસોડમાં જોવા મળ્યા નહોતા.
