નેપાળની સંસદે વિવાદિત નક્શાને આપી મંજૂરી,ભારતના ત્રણ ક્ષેત્રોનો પોતાનામાં દર્શાવ્યા

નેપાળની સંસદે શનિવારે બંધારણીય સુધારાને મંજૂરી આપી દીધી છે. આ સુધારાને મંજૂરી મળતાની સાથે જ નેપાળના નવા નકશાને પણ બંધારણીય માન્યતા મળી ગઈ છે. આ નકશામાં નેપાળના ભાગ રૂપે ભારતના ત્રણ ક્ષેત્રો, લિપીયાધુરા, કાલાપાની અને લિપુલેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવને નેપાળની સંસદમાં મોજૂદ 258 સભ્યોએ મંજૂરી આપી દીધી છે. આ બંધારણ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીની સંમતિ માટે મોકલવામાં આવશે, તેમના હસ્તાક્ષર બાદ તે કાયદો બનશે.

નેપાળના નવા નકશા પર ભારતે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. ભારતે ૨૦ મેના રોજ તેને ફગાવી દીધો હતો.૧૧ જૂનના રોજ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે તેની સાથે જોડાયેલા સવાલો અને કાઠમંડુમાં કોઈપણ પ્રકારની વાતચીતને આડે હાથ લેતા કહ્યું હતું કે, અમે આ મુદે પોતાની વાત સ્પષ્ટપણે કહી ચૂક્યા છીએ અને ભારત સાથે નેપાળની સભ્યતા, સાંસ્કૃતિક અને મૈત્રીપૂર્ણ સંબંધોની વાત કરી હતી.

નેપાળે 18 મેએ એક નવો નક્શો જારી કર્યો, જેમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો ભાગ દર્શાવ્યો હતો. આ પગલાથી ભારત અને નેપાળની દોસ્તીમાં વિખવાદ શરૂ થઈ ગયો હતો. ભારતે સતત તેનો વિરોધ કર્યો.