નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથેના ટેન્શન વચ્ચે હવે ભારત FATF (ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં આતંકી નાણાંની ચુકવણીના મુદ્દાને ઉઠાવશે, જેથી પાકિસ્તાનને ફરીથી FATFની ગ્રે લિસ્ટમાં નાખી શકાય. સૂત્રોએ કહ્યું હતું કે ભારત ખાસ કરીને તે કાનૂની જોગવાઈઓને ઉઠાવશે, જે પાકિસ્તાને 2022માં ગ્રે લિસ્ટમાંથી બહાર આવતી વખતે અનુસરવાનું વચન આપ્યું હતું.
સરકાર આ મુદ્દા પર વિચાર કરી રહી છે અને તેની તૈયારીઓ ચાલી રહી છે. સરકાર એક ડોઝિયર તૈયાર કરી રહી છે, જે FATFની આગામી સંપૂર્ણ બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ બેઠક જૂન 2025માં યોજાવાની છે. ભારત જૂનમાં વિશ્વ બેંક દ્વારા પાકિસ્તાનને આપવામાં આવનારી નાણાકીય સહાયની સમીક્ષા પર પણ પોતાનો વિરોધ નોંધાવશે, એમ સરકારી સૂત્રે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર FATFમાં પડોશી દેશને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય આપતા ફંડને અટકાવવા માટે વિચારણા કરી રહી છે. ભારત સરકારે આ નિર્ણય 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લીધો હતો. આ હુમલામાં ભારતના 26 નાગરિકો મોત થયા હતા.
પાકિસ્તાનને જૂન 2018માં FATFની ‘ગ્રે લિસ્ટ’માં મૂકવામાં આવ્યું હતું અને ઓક્ટોબર 2022 સુધી તે “વધારાની દેખરેખ” હેઠળ હતું. આ યાદીમાં હોવાને કારણે વિદેશી નાણાં અને રોકાણ પર નકારાત્મક અસર પડે છે, કારણ કે વેપાર વ્યવસાયોને વધુ કડક ચકાસણીનો સામનો કરવો પડે છે. સરકારી અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે આ પગલાંએ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ભારતમાં થતા ગેરકાયદે નાણાં પ્રવાહને ઘટાડવામાં મદદ કરી હતી. ભારતે આ મહિનાની શરૂઆતમાં IMFના બોર્ડ મીટિંગમાં પણ પાકિસ્તાન માટે જુલાઈ 2024થી શરૂ થનારા સાત અબજ ડોલરના સહાય પેકેજ હેઠળ નાણાં જારી કરવામાં વાંધો ઉઠાવ્યો હતો, જેમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાંનો દુરુપયોગ થતો હોવાનું કારણ આપ્યું હતું.
