ઝાલાવાડના જડીબાનું જનકલ્યાણ કાર્ય

અમદાવાદઃ કહેવાય છે કે ભગવાન રામ તેમની વાનર સેના સાથે રાવણ સામે યુધ્ધ કરવા વન – પર્વતમાળાઓ પાર કરી લંકા તરફ પ્રયાણ કરવા પગપાળા આગળ વધી રહયા હતા તેવા સમયે તેમના માર્ગમાં દરિયો આવ્યો હતો. આ દરિયાને પાર કરવા તેની ઉપર પુલ બનાવવાનું કાર્ય શ્રી રામની વાનર સેનાની સાથે તેમની સેનામાં રહેલા સૌ કોઈએ હોશે – હોશે આરંભ્યું. સૌ કોઈ આ પુણ્યના કાર્યમાં યથાશકિત જોડાઈને પોતાનું યોગદાન આપી રહયા હતા તેવા સમયે એક નાનકડી ખિસકોલીને પણ વિચાર આવ્યો કે અસત્ય ઉપર સત્યના અને દુર્જન ઉપર સજજનના વિજય માટેની આ લડાઈમાં મારે પણ સહભાગી બનવું જોઈએ. અને તેણે પણ દરિયા ઉપર પુલ બનાવવાના કાર્યમાં જોડાવાનો સંકલ્પ કરી પોતાનું શરીર પલાળીને  પછી રેતીમાં આળોટી પોતાના શરીર ઉપર ચોટેલી રેતી-ધૂળને  દરિયાના પાણીમાં ઠાલવવા લાગી. સૌ કોઈ આ નાનકડા જીવની નિષ્ઠાને જોઈ રહયા. ભગવાન રામે પણ આ ખિસકોલીની ભાવનાથી પ્રસન્ન થઈ તેને પોતાની હથેળીના સ્પર્શ કરી બિરદાવી હતી.
પુરાણકાળમાં બનેલી આ ઘટના આજે યાદ આવે તેવું ખિસકોલી જેવું કાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાનકડા એવા દેવપરા ગામના સાધારણ રબારી પરિવારના મોભી એવા ૧૦૦ વર્ષના જડીબાએ કર્યું છે.
સમગ્ર વિશ્વ આજે કોરોના રૂપી મહામારીના રાક્ષસને હરાવવા માટે કાર્ય કરી રહયું છે. તેવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને નાના-મોટા ઉદ્યોગગૃહો, સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થા-સંગઠનો તેમજ સમાજના શ્રેષ્ઠીજનો આર્થિક રીતે સહભાગી બની આ લડતને નવુ બળ પુરૂ પાડી રહયાં છે.

તો આ સમયે આવળ-બાવળ અને બોરડીના સૂકા પ્રદેશ એવા ઝાલાવાડના પાણીદાર માનવીઓ પણ કેમ પાછળ રહે ?

આ વાત છે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાનકડા દેવપરા ગામના રબારી પરિવારની.  લોકડાઉનની સ્થિતિમાં દેવપરાનો આ રબારી પરિવાર ઘરમાં બેસી વાતો કરી રહયો હતો. વાતવાતમાં પરિવારના વડલા સમાન શતાયુ એવા જડીબેનને તેમના દિકરાએ કહયું કે, આજે દેશમાં વાયરસ ફેલાયો છે અને તેની સામે લડવા માટે મોટા-મોટા લોકો અને સંસ્થાઓ કરોડો રૂપિયાનો ફાળો આપી રહયા છે.

આ સાંભળતા જ ૧૦૦ વર્ષના અનુભવોનું ભાથુ પોતાના હ્રદયમાં સંઘરીને બેઠેલા ઘરના મોભી જડીબાએ તરત જ પોતાની પાસે રહેલા ૧૦૦ રૂપિયા કાઢીને તેમના પૌત્રને આપતા કહયું કે, મારા પણ ૧૦૦ રૂપિયા તું નરેન્દ્રભાઈને પુગાડી દે.

સો વર્ષોથી અનેક તડકા-છાંયડા જોઈને આ ઉંમરે પહોંચેલા જડીબાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારૂ છે. તેમણે તેમના અનુભવોના નિચોડ રૂપી વાત કરતા જણાવ્યું હતું કે, ‘‘મારા છોકરાએ મને કીધુ કે આજે રોગચાળો થયો છે, અને લોકોને બચાવવા મોટા મોટા માણાહે કરોડો રૂપિયા આઈપા છે. એટલે મને થયું કે, આ બધા બે કરોડને, ત્રણ કરોડને એટલા બધા રૂપિયા દે છે. એવી તો આપડી શકિત ન હોય, પણ આપણે આપણી શકિત પરમાણે મદદ કરવી જોઈએ. એટલે મે મારા ગીંજામાં ૧૦૦ રૂપિયા હતા એ મારા દિકરાના દિકરાને આઈપા. મારી પાહે ૧૦૦ રૂપિયા હતા એટલે ઈમ થયુ કે આ ૧૦૦ રૂપિયા આપી દવ. પછી તો સો (સોય) વાહે દોરો હાઈલો જશે.’’

જડીબાએ રોકડા આપેલા આ ૧૦૦ રૂપિયા તુરત જ તેમના પૌત્રએ ઓનલાઈન વડાપ્રધાનની રાહત નિધીમાં ટ્રાન્સફર કર્યા છે.

ધન્ય છે ને જડીબાને અને સલામ છે તેમના ખિસકોલી જેવા કાર્ય થકી તેમની સમાજ માટેની ઉદાત્ત ભાવનાને?