રાજ્ય સરકારે કર્યો ખેડૂત લક્ષી નિર્ણય, 1419 કરોડનું પેકેજ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગસ્ટ 2024માં વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રીની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1097.31 કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી 322.33 કરોડ ચૂકવાશે.

મંત્રી ઋષિકેશ પટેલે રાહત પેકેજ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ 20 જિલ્લાના મળી કુલ 136 તાલુકાના કુલ 6812 ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે 7 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)ના ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની 322.33 કરોડની ટોપ અપ સહાય અપાશે.

  • ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2,500 સહાય મળી કુલ રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
  • વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 5,000 સહાય મળી કુલ રૂપિયા 22,000 હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
  • બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂપિયા 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂપિયા 3,500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે 475.71 કરોડ, પિયત પાકો માટે 942.54 કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે 1.37 કરોડ મળી કુલ 1419.62 કરોડ સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં 8-10 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. ખેતરમાં તૈયાર મગફળી, મગ, તલ અને ડાંગર સહિતના પાક પલળી ગયા છે તેમજ જ્યાં ભારે વરસાદ પડ્યો ત્યાં તો પાક જ તણાઈ જતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એને લઈ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને સહાય પેકેજ જાહેર કરવાની માગ સાથે પત્ર લખ્યો છે. મગફળી અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતાં ચોખા અને તેલના ભાવ વધી શકે છે.