માછીમાર સમુદાયની ગાથાઓને ઉજાગર કરતી પુસ્તિકાનું વિમોચન

અમદાવાદ: અદાણી ફાઉન્ડેશન સમાજના વિમુખ પરિવારો પ્રત્યે સંવેદના અને સમર્પણ ધરાવે છે. મુંદ્રાના માછીમાર સમુદાયના ઉત્થાન માટે ફાઉન્ડેશન એડીચોટીનું જોર લગાવી નોંધનીય પરિવર્તન લાવવામાં સફળ રહ્યું છે. માછીમાર સમુદાયની સફળ પ્રેરણાદાયી ગાથાઓ આધારિત એક વિશિષ્ટ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. ફિશરીઝ વિભાગ ગાંધીનગર ખાતે વિભાગના ડિરેક્ટરે પુસ્તક વિમોચન કરતાં અદાણી ફાઉન્ડેશનના યોગદાનને વખાણ્યું હતું.

મુંદ્રાની માછીમાર વસાહતોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા અંદાજે 65૦૦ લોકોની જીવનશૈલી સુધારવા વિવિધ યોજનાઓ અમલી કરાવવામાં આવી છે. આ પુસ્તક એવા માછીમારોનું જીવન દર્પણ છે, જેઓ અત્યંત વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને નવી ઊંચાઈઓએ પહોંચ્યા છે. જે સમુદાય માટે નવી આશાનું શમણું બનીને આવ્યા છે. પુસ્તકમાં સામેલ કથાકારો સમુદાયના આદર્શ આગેવાનો છે. જેમણે લોકોને સુયોગ્ય માર્ગદર્શન આપ્યું છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડૉ. નરેન્દ્ર મીણાએ અદાણી ફાઉન્ડેશનને અભિનંદન પાઠવતા ઉપસ્થિત માછીમાર સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “સરકારની કેટલીય યોજનાઓ માછીમાર સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગી છે. અદાણી ફાઉન્ડેશન તેને પુલ બનીને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં ઉત્તમ કામગીરી કરી રહ્યું છે”.

ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણીના માર્ગદર્શન હેઠળ કાર્યરત અદાણી ફાઉન્ડેશનનો ઉદ્દેશ માછીમાર સમુદાયના લોકોને શિક્ષણ, આરોગ્ય અને આધુનિક કૌશલ્ય સાથે સક્ષમ બનાવીને નવી પેઢીને અનુકૂળ અને આધુનિક જીવન તરફ માર્ગદર્શન કરવાનો છે. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર વસંત ગઢવીએ જણાવ્યું હતું કે  “અમે 28 થી વધુ વર્ષોથી મુન્દ્રામાં સામાજિક બદલાવ માટે સખત પ્રયત્નો કરી રહ્યા છીએ. માછીમાર સમુદાયોનું જીવનધોરણ ઉંચુ લાવવામાં અમારો પ્રવાસ સંતોષકારક બની રહ્યો છે. અમારા શૈક્ષણિક કાર્યક્રમો, આરોગ્યલક્ષી સુવિધાઓ અને કૌશલ્ય વિકાસની પહેલોથી તેઓને ફાયદો થયો છે. મને આનંદ છે કે અમારા પ્રયાસો આગામી પેઢીને શિક્ષિત જ નહીં, પરંતુ તેમનું ભાવિ ઉજ્વળ બનાવતી વૈકલ્પિક આજીવિકાની તકો મેળવવા સક્ષમ બનાવી રહ્યા છે”. અદાણી ફાઉન્ડેશનની આ પહેલ એવા લોકોની શ્રમશક્તિ ઉજાગર કરે છે જેઓ સંઘર્ષમય જીવન બાદ ઉલ્લેખનીય પરિવર્તન લાવ્યા છે. માછીમાર સમુદાયની સફળતાની વાર્તાઓ એ વાતની જીવંત સાક્ષી છે, કે દરેક વ્યક્તિ જો યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પામે તો તેનું જીવન કેટલું સુદ્રઢ બની શકે છે.