Monsoon Update: ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં નોંધાયો વરસાદ

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારના ત્રણ દિવસ પહેલા ગુજરાતમાં મેઘરાજા પણ મનમૂકી વરસી રહ્યા છે. જોકે હવામાન વિભાગે નવરાત્રિમાં કોઈ પણ વિધ્ન નહીં પડે તેવી આગાહી પણ વ્યક્ત કરી છે. જ્યારે પાછલા 24 કલાકની વાત થાય, ગુજરાતમાં એક દિવસમાં 134 તાલુકમાં વરસાદે હાજરી પુરાવી હતી. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વડોદરામાં 3.77 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 3.58 ઈંચ, બોટાદના ગઢડામાં 3.26 ઈંચ, તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડા 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી  

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આજે વરસાદનું જોર ઘટવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે (30મી સપ્ટેમ્બર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

નવરાત્રિ પર નહીં નડે વિઘ્ન 

આ ઉપરાંત ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શકયતા નહિવત છે. જો કે ક્યાં કોઇ જગ્યા ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટા નવસારી, વલસાડમાં પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે હાલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઓક્ટોબરની શરૂઆતમાં જ ચોમાસાની વિદાયની શક્યતા સેવાય રહી છે. ત્યારે ખેલૈયા અને ગરબા આયોજક માટે સારા સમાચાર એ છે કે, 2 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ વિદાય લેશે. નવરાત્રિ 3 ઓક્ટબરથી શરૂ થઇ રહી છે જેથી નવરાત્રિમાં વરસાદ વિધ્નરૂપ બને તેવી શક્યતા નહિવત છે.

ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારસુધી સરેરાશ 47.44 ઈંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઈંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.