ગુજરાતના કચ્છના વતની અને કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી. અંજારિયાને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. આ સાથે ગુજરાતના ન્યાયતંત્રમાં ગૌરવની લાગણી છવાઈ છે. આ નિમણૂક રાજ્યની કાયદાકીય પરંપરાને વધુ મજબૂતી આપે છે અને દેશના ઉચ્ચતમ ન્યાયાલયમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધારે છે.
30 મે, 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જસ્ટિસ નિલય અંજારિયા ઉપરાંત ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઈ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. ચંદુરકરને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ આ ત્રણેય જજોને શપથ ગ્રહણ કરાવ્યા. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તાજેતરમાં જ આ ત્રણેય નામોની ભલામણ કરી હતી, જેને કેન્દ્રીય કાયદા મંત્રાલયે મંજૂરી આપી. આ નિમણૂકથી સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 34 થઈ છે, જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારશે.
જસ્ટિસ નિલય અંજારિયા, જન્મ 23 માર્ચ, 1965, અમદાવાદ, મૂળ કચ્છના માંડવીના છે. તેમના દાદા અને પિતા પણ માંડવી કોર્ટમાં વરિષ્ઠ વકીલો હતા. 1988માં ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરનાર અંજારિયા 1989માં કાયદામાં માસ્ટર્સ થયા. 2011માં ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ અને 2013માં કાયમી જજ બન્યા. ફેબ્રુઆરી 2024માં તેઓ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. બીજી તરફ, ગુજરાતના વધુ એક જજ વિપુલ પંચોલીને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભલામણ કરાઈ છે.
