વડોદરામાં ફરી પૂરનું સંકટ!, વિશ્વામિત્રી ભયજનક સપાટીની નજીક

વડોદરા: ગુજરાતમાં વિદાય વખતે મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. ત્યારે ફરી એક વખત વડોદરામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું લેવલ 25 ફૂટ આસપાસ નોંધાયુ હતું. ચોમાસા દરમિયાન વડોદરા શહેરની વિશ્વામિત્રી ચર્ચા રહી છે, કેમકે પાણીનું સ્તર વધતાની સાથે વડોદરામાં મગરના ત્રાસ વધી જતો હોય છે. ત્યારે ફરી એક વખત નદીની સપાટી ભયજન સુધી પહોંચી હતી. જોકે ગઈ રાતથી વરસાદ બંધ છે અને આજે ઉઘાડ છે, પરંતુ નદીનું લેવલ રવિવારની સરખામણીએ ધીમી ગતિએ વધી રહ્યું છે, એટલે વડોદરામાં હજી પૂરનું સંકટ માથે મંડરાઇ રહ્યું છે, હવે ભારે વરસાદ ન પડે તો જ શહેર ત્રીજી વખતના પૂરમાંથી બચી શકે તેવી સ્થિતિ છે.

રવિવારની સરખામણીએ આજવા સરોવરમાં પણ લેવલ ખૂબ ધીમી ગતિએ વધે છે. રવિવારે વડોદરામાં ભારે વરસાદ પડ્યા બાદ અને ઉપરવાસમાંથી આવક થતાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપભેર આગળ વધી ગઈ હતી. જેના કારણે કોર્પોરેશનનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. લોકો ત્રીજી વખત પૂર આવશે તેવી દહેશતથી ભયભીત બની ગયા હતા. ગત રાત સુધી લેવલ ખૂબ ઝડપથી વધતું હતું. રાત્રે બે વાગ્યે લેવલ 24 ફૂટ પહોંચી ગયું હતું. જોકે એ ત્યારબાદ સપાટીમાં વધારો ધીમી ગતિએ થઈ રહ્યો છે, એટલે તંત્ર થોડું નિશ્વિત બન્યું છે. રાત્રે 2 વાગ્યાથી અત્યારે સવારે 11:30 વાગ્યા સુધીમાં નદીની સપાટીમાં 1.03 ફૂટનો વધારો થયો છે. આજવા સરોવર ખાતે પણ ગત રાત્રે 11 વાગ્યે  લેવલ 213.13 ફૂટ હતું. જે આજે 12 કલાક પછી તેમાં 0.16 નો વધારો થયો છે. આજવાનું લેવલ હાલ 213.26 ફૂટ છે. વરસાદ થંભી જવાના કારણે લેવલ વધવાની ગતિ ઘટી ગઈ છે.

આ ઉપરાંત અફવા પર ધ્યાન ન આપવા માટે પણ કોર્પોરેશન દ્વારા એપિલ કરવામાં આવી છે. ત્યારે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રી નહીં છોડાય તેવી પણ જાણકારી તંત્રએ આપી હતી. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા એન.ડી.આર.એફની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને બચાવ કામગીરી માટે તરાપા રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની શાળાઓ અને એમ.એસ.યુનિવર્સિટી બંધ રાખવામાં આવી છે. હાલ નદીમાં પાણી જે વધી રહ્યું છે, તે વિશ્વામિત્રીના ઉપરવાસના વરસાદના લીધે વધે છે. સામાન્ય રીતે વરસાદ થયા બાદ 24 કલાક સુધી ધીમી ગતિએ પાણીની આવક ચાલુ રહે છે. કોર્પોરેશનના તંત્રનું માનવું છે કે હવે લેવલ ધીમે ધીમે સ્થિર થશે અને કલાકો બાદ પાણી ઉતરવાની શરૂઆત થશે, પરંતુ તે સમય દરમિયાન વરસાદ પડવો ન જોઈએ. જો વરસાદ પડે તો સ્થિતિ પાછી ચિંતાજનક બની જાય તેમ છે