તમાકુ નિષેધ દિવસ: જાગૃતિ કાર્યક્રમોનું ઉત્સાહપૂર્ણ આયોજન

અમદાવાદ જિલ્લામાં ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવા વર્ગ વ્યસનથી દૂર રહે તે માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તમાકુ નિષેધ દિન નિમિત્તે જૂથ ચર્ચા, વર્કશોપ, શિબિર, રેલી કાર્યક્રમમાં હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અમદાવાદના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્યના યુવાનો અને બાળકોમાં તમાકુના ઉપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે ખાસ અભિયાન સપ્ટેમ્બર 24થી શરૂ કર્યું છે.

આ પહેલ અંતર્ગત શાળાઓમાં જાગૃતતા કાર્યક્રમો, COTPA કાયદાનું કડક અમલ અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે. શૈક્ષણિક સંસ્થાઓને 100% તમાકુમુક્ત જાહેર કરવા શિક્ષણ શાખાનો પણ સહકાર મળેલ છે. સ્થાનિક તંત્રો, NGO અને યુવાગૃપોની સહભાગિતાથી બાળકોને તમાકુની લતથી બચાવવાનો પ્રયાસ કરાશે. આ અભિયાનનો ઉદ્દેશ શરૂઆતથી જ તમાકુ વપરાશ અટકાવવો અને લાંબા ગાળાના આરોગ્ય જોખમ ઘટાડવાનો છે. એક નિર્ધારિત ટાસ્ક ફોર્સ નિયમનની દેખરેખ રાખશે અને સ્થાયી પગલાં લેશે.

આ અભિયાન યુવાન તમાકુ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ પગલું છે. અમદાવાદ ગ્રામ્ય અને 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવેલ છે અને બાકી રહેલ શાળાઓને પણ તમાકુ મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.

આ અંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ચિંતન દેસાઈએ કહ્યું કે, “તમાકુનો પ્રારંભ અડોલેસન્ટ વયમાં થાય છે. પ્રારંભિક જાગૃતિ, શિક્ષણ અને સમુદાયની સહભાગિતા દ્વારા આપણે આપણા બાળકોને લત અને બીમારીઓથી ભરેલી જિંદગીથી બચાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.” ગ્લોબલ યુથ તમાકૂ સર્વે (GYTS) મુજબ, ભારતમાં 13 થી 15 વર્ષની વયના લગભગ 14.6% વિદ્યાર્થીઓએ કોઈ ને કોઈ પ્રકારનું તમાકુ વપરાશ કરેલ છે. ઓછી વયે તમાકૂની શરૂઆત થવી વધારે લત લાગવાની શક્યતા અને લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ સાથે જોડાયેલી છે. આ પ્રવૃત્તિને રોકવા માટે અમદાવાદ ગ્રામ્ય સક્રિય પગલાં અને સમુદાય આધારિત કાર્ય દ્વારા આ ઘાતક પ્રવૃત્તિને અટકાવવા માટે પ્રતિબદ્ધ છે.