સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, આ ગામને કરાયા એલર્ટ

રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. કેટલાક વિસ્તારને તો વરસાદે ઘમરોળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે એટલેકે 12 સપ્ટેમ્બરના સવારે નર્મદા ડેમની સપાટી 135.67 મીટરે પહોંચી છે. જેના કારણે ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે.

સરદાર સરોવર બંઝ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2,45,000 કયુસેક પાણી છોડવામાં આવશે. વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.