ચારુસેટ યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને રાહતદરે લેપટોપનું વિતરણ

ચાંગા: કોરોનાને લીધે માર્ચ, ૨૦૨૦થી સ્કૂલ–કોલેજો બંધ હતી અને વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા અને ઓનલાઈન પરીક્ષા આપતા હતા. એ વખતે અનેક વિદ્યાર્થીઓ પાસે લેપટોપ-કોમ્પ્યુટર ન હોવાને કારણે અભ્યાસમાં મુશ્કેલી અનુભવતા હતા, એ વાતને ધ્યાનમાં રાખી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીના મેનેજમેન્ટે ૨૦૦૦ વિદ્યાર્થીઓને રાહતદરે લેપટોપ આપવાનું નક્કી કર્યું હતું. ચારુ-લેપ સ્કીમ અંતર્ગત બજારમાં રૂ. ૫૦,૦૦૦માં મળતું લેપટોપ વિદ્યાર્થીઓને માત્ર રૂ. ૧૮,૦૦૦માં આપવામાં આવ્યું હતું, જ્યારે બાકીની રકમ યુનિવર્સિટીના વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. 

ચારુસેટ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના લાભાર્થે માટે આ સ્કીમ લોન્ચ કરી છે. ‘સેન્ચુરી ઓફ ઓનલાઇન વર્ક એન્ડ વર્ચ્યુંઅલ એજ્યુકેશન ઓફ ઈન્ટરનેટ સોસાયટી ઇન ડિજિટલ વર્લ્ડ’ કરી વિદ્યાર્થીઓને લેપટોપની જરૂર પડે એટલે આ સ્કીમ લોન્ચ કરી છે. ૨૦૦૦ વિદ્યાર્થીઓને તબક્કાવાર આ લેપટોપ રાહતદરે વિતરણ કરવાનો કાર્યક્રમ ૯-13 જાન્યુઆરી દરમિયાન યોજવામાં આવ્યો હતો.

ચારુસેટ અને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય ચારુસેટની સંસ્થાઓના પ્રમુખ અને મંત્રીઓ અને ચારૂસેટના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશીના હસ્તે લેપટોપ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર દિવ્યાંગ પુરોહિતે કર્યું હતું.

આ સમગ્ર કાર્યકમ દરમિયાન દરેક જગ્યાએ ગુજરાત સરકારની કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેપટોપ મેળવનાર વિદ્યાર્થીઓમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.