રાજ્યમાં કોવિડ-19થી 38 ડોક્ટરોનાં મોતઃ IMAની વળતર આપવા માગ

અમદાવાદઃ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ કેન્દ્ર સરકારના એ નિવેદન પર નારાજગી દર્શાવી હતી કે સરકારે સંસદમાં કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે દેશમાં કેટલા ડોક્ટરોનાં મોત થયા છે અને એના વાઇરસથી કેટલો મેડિકલ સ્ટાફ સંક્રમિત થયો છે એનો ડેટા નથી. IMAએ કહ્યું હતું કે દેશમાં કોવિડ-19એ 382 ડોક્ટર્સનાં મોત થયાં છે.દેશમાં ગુજરાત ડોક્ટરોના મોત મામલે ત્રીજા ક્રમે છે.

તામિકનાડુમાં 61, આંધ્ર પ્રદેશમાં 41, ગુજરાતમાં 38, મહારાષ્ટ્રમાં 36 અને કર્ણાટકમાં 35 ડોક્ટરોનાં મોત થયાં છે. ગુજરાતમાં 38 ડોક્ટરો પૈકી 16 ડોક્ટરોના અમદાવાદ અને સુરતમાં છ ડોક્ટરોનાં મોત થયાં છે. આ બધા ડોક્ટર્સ પ્રાઇવેટ પ્રેક્ટિસર્નર્સ હતા. આ ડોક્ટરો સામાન્ય નાગરિકો કરતાં ચાર ગણા વધુ સંક્રમિત હતા અને ખાનગી ડોક્ટરોનો મૃત્યુદર આઠ ગણો વધુ હતો.

જે ડોક્ટરોના મોત કોવિડ-19ને લીધે થયાં છે, IMAએ આ ડોક્ટરો માટે શહીદનો દરજ્જો માગ્યો છે અને વળતર પણ આપવા માગ કરી છે. IMAએ વધુમાં કહ્યું હતું કે આ પ્રકારનો ડેટા દેશભરમાં પેરામેડિક્સનો એકત્ર કરવામાં આવશે.

IMAની ચાર મુખ્ય માગો છે.

  1. સરકાર કોરોનાથી માર્યા ગયેલા ડોક્ટર્સને શહીદનો દરજ્જો આપે
  2. દેશની સરકાર તેમના પરિવારને સાંત્વના અને વળતર આપે
  3. સરકાર નર્સો અને અન્ય હેલ્થકેર વોરિયર્સનો પણ ડેટા એકત્ર કરે
  4. વડા પ્રધાન ઉચિત સમજે તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને બોલાવે અને તેમની ચિંતાઓ સમજે અને સૂચનો લે.