CNG પમ્પધારકોની કમિશન વધારવા માટે આવતી કાલે હડતાળ

અમદાવાદઃ રાજ્યના તમામ CNG પમ્પધારકો આવતી કાલે હડતાળ પર ઊતરશે. રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સે 17 ફેબ્રુઆરીએ CNG પંપ બંધ રાખશે. CNGના વેચાણ પર મળતા કમિશનના દરો નહીં વધારવામાં આવતાં CNG પમ્પધારકો દ્વારા આવતી કાલે વિરોધ કરવામાં આવશે. રાજ્યના 1200 CNG પંપ બપોરે એકથી ત્રણ કલાક સુધી બંધ રહેશે, એવો નિર્ણય ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના દ્વારા લેવામાં આવ્યો છે.

 પ્રાપ્ત માહિતી મુજબ ઓઇલ કંપનીઓ અને ડીલર્સ વચ્ચે વેચાણના માર્જિનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ પહેલાં  જુલાઈ 2019માં માર્જિન વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે એ વાતને આશરે ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં ઓઇલ કંપની દ્વારા માર્જિન વધારવામાં નથી આવ્યું. વળી, માર્જિન વધારવા માટે અનેક વખતની રજૂઆત કર્યા છતાં કોઈ સમાધાન ન નીકળતાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે.ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યાનુસાર વેચાણ પર અત્યારે રૂ. 1.70 કમિશન મળે છે અને ડીલર્સ દ્વારા એ કમિશન રૂ. 2.50 કરવા માટેની માગ કરવામાં આવી છે.