જન્મ-મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો સરળ બનશે

રાજ્ય સરકારે જન્મ અને મૃત્યુ સમયે નોંધાયેલા નામ તથા બર્થ ડેટમાં ફેરફાર કરવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ જન્ય અને મૃત્યુની નોંધણી અને બર્થ ડેટમાં સુધારો કરવાની પ્રક્રિયા સરળ બનશે. તેમજ જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ તથા જન્મ તારીખ સુધારણા માટેની અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજિસ્ટ્રારે આ બાબતોની નોંધ લેવી પડશે.

ગુજરાત સરકારે જન્મ-મરણ અંગે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એડવાઈઝરી હતી એ એડોપ્ટ કરી હતી. જેમાં કેટલાક નિયમો અને કેટલીક મહત્વની બાબતો ઉમેરવાની બાકી હતા. તેમજ જન્મ અને મરણ અંગે બીજી નાની-મોટી એડવાઈઝરી ભેગી કરીને આ પરિપત્ર બનાવામાં આવ્યો છે. જેથી લોકોને થતી નાની-મોટી તકલીફ દૂર થાય અને ઝડપથી નિરાકરણ આવી શકે. મળતી માહિતી અનુસાર નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રારે અરજદારની અન્ય ઓળખની વિગતો પિતાનું નામ, છેલ્લું નામ, અટક કે જન્મ તારીખ અથવા કોઈ એક કે તેમાંની કેટલીક વિગતો બદલવાની માંગ કરી છે કે નહીં તે બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. સંબંધિત રજિસ્ટ્રારે અરજી સાથે આપેલા ફોટો આઈડી કે અન્ય ઓળખના દસ્તાવેજોને ધ્યાનમાં રાખવાના રહેશે.  અરજદારે આપેલા પુરાવાની ખરાઇ કર્યા બાદ, રજિસ્ટ્રારને સત્યતાની ખાતરી થાય તો નામમાં ફેરફારના સંદર્ભે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકે છે અને જન્મ નોંધણીની નોંધની કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મના પ્રમાણપત્રમાં બન્ને નામો લખવાનાં રહેશે. જો અરજદારને ‘ઉર્ફે’ શબ્દનો સ્વીકાર ન હોય તો, અરજદાર દ્વારા આપવામાં આવેલા પુરાવાની ફરી ખરાઇ કર્યા બાદ રજિસ્ટ્રારે કરવાના થતા ફેરફાર જન્મ રજિસ્ટરના જન્મ નોંધણીની નોંધની કોલમમાં બન્ને નામનો ઉલ્લેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે.