વેરાવળમાં માછલી નિકાસમાં ભારે વિઘ્નો અને મુશ્કેલી..

નાળિયેરી પૂનમ દરિયાની પુજા કરીને સાગરખેડૂઓએ દરિયાના ખોળે માથું મુકીને માછીમારીના શ્રીગણેશ કરતા હોય છે. પરંતુ હાલ નિકાસ લઈ વિવાદ સર્જાયો હોવાથી અને આ ઉપરાંત દરિયાઈ પરિવહનમાં ભાડામાં ત્રણ ગણો વધારો થઈ જતાં સમસ્યા વધી છે. ત્યારે બીજી બાજું માછલીના કિંમતોમાં ઉછાળો થયો નથી. જયારે ભાડામાં વધારો થતાં વેરાવળના મત્સ્યોદ્યોગને ભારે આકરી પરીક્ષામાંથી પસાર થવાનો સમય આવ્યો છે.

સૂત્રો દ્વાર મળતી માહિતી અનુસાર માછીમારીની સિઝનનો પ્રારંભ થયો છે, પરંતુ હાલ રેડસી મારફત જે ટૂંકા રસ્તેથી વિદેશમાં માછલીનું પરિવહન થતું હતું  એ રસ્તામાં અનેકવિધ સમસ્યાઓ અને ચાંચિયાગીરી તેમજ કન્ટેનરો પર હુમલાઓ થવાની ભીતિના કારણે અને અન્ય કેટલીક સમસ્યાઓના લીધે બધા કન્ટેનરોને ફરી ફરીને વાયા સાઉથ આફ્રિકાથી જવું પડે છે. લાંબા રસ્તેથી જવાની ફરજ પડતા ટ્રાસપોર્ટ ટાઈમમાં પણ ત્રણ ગણો વધારો થયો છે. ત્યારે લાંબા રસ્તા પરથી જવાથી પરિવહન અંતર વધી જતાં ભાડામાં પણ ત્રણ ગણો વધારો થયો છે. જે માછીમારી ઉદ્યોગ માટે અસહ્ય છે. બીજી તરફ ખરીદદાર દેશો માછલીના ભાવ એના એ જ ચૂકવે છે. એકલા વેરાવળમાંથી ચીનમાં રીબન ફીશ, ક્રોકર, થાઈલેન્ડમાં વેરાવળની ખાસ વેરાઈટી ઈન્ડીયન મેકલ, યુરોપ દેશોમાં સ્કવીડ માછલીની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. દર વર્ષે ગુજરાતમાંથી લગભગ 5,000 કરોડની માછલીની નીકાસ થાય છે. જેમાં વેરાવળનો હિસ્સો 3,000 કરોડ છે. જે ચીન થાઈલેન્ડ, વિએટનામ યુરોપ સહિતના દેશોમાં નિકાસ કરે છે. વેરાવળની માછલી રીબન ફીશ,ક્રેકરનો સૌથી મોટો ખરીદદાર દેશ ચીન છે.