બાવળા-બગોદરા હાઇવે પર મીઠાપુર ગામ પાસે અકસ્માતઃ 10નાં મોત

અમદાવાદઃ શહેરની નજીક બાવળા-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત થયો છે, જેમાં 10 લોકોનાં મોત થયાં છે. બાવળા- બગોદરા રસ્તા પર મીઠાપુર પાસે ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં 10 લોકોનાં મોત થયાં છે, જેમાં પાંચ મહિલા, ત્રણ બાળક સહિત 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.  આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી આશરે 50 કિમી દૂર અકસ્માત થયો છે.

આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો- કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. આ ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે 10 લોકોનાં મોત થયાં હતાં. આ વિશે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે  હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાથી ટ્રાફિકજામ

આ અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો છે તેમ જ લોકોનાં ટોળેટોળાં જમા થયાં છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગઈ કાલે મોડી રાત્રે એલિઝબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક ઇઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે.