AAPએ ચૂંટણીમાં વધુ 22 ઉમેદવારનાં નામ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો  હવે ટૂંક સમયમાં જાહેર થવાની વકી છે, ત્યારે  આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. અત્યાર સુધીમાં આપ પાર્ટીએ 100થી વધુ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. આ પહેલાં પાર્ટે 86 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. આપે દહેગામ બેઠકની ટિકિટ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને આપી છે. પેપર ફૂટવાની અને ભરતી કૌભાંડના છબરડા સામે લાવનાર યુવરાજસિંહને આપ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

તેમણે વિદ્યાર્થીઓ માટે લડત ચલાવી છે, તેને જોતાં આપ દ્વારા દહેગામની સીટ માટે તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. જોકે ગાંધીનગરમાં પોલીસ પર ગાડી ચઢાવી દેવાના કેસમાં યુવરાજસિંહ જાડેજાને જેલ પણ થઈ ચૂકી છે.  યુવરાજસિંહે જે રીતે પરીક્ષા કૌભાંડ અને ગોટાળામાં વિદ્યાર્થીઓ તરફથી પુરાવા અને સાહિત્ય રજૂ કરીને પેપર ફોડનારા અને ભરતી કૌભાંડ કરનારાઓની પોલ ખોલી છે. જે એ રીતે પાર્ટીએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા 86 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે આજે વધુ 22 ઉમેદવારોની જાહેરાત કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 100ને પાર થઈ છે. પાર્ટીએ આઠમી યાદીમાં 22 ઉમેદાવારો સાથે 108 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.