PM મોદીએ બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો

બુધવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થતાં બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના પ્રથમ IPL વિજયનો ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો ચાહકો સ્ટેડિયમ નજીક ટીમને અભિનંદન આપવા માટે એકઠા થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુ:ખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, બેંગલુરુમાં થયેલો આ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. આ દુઃખદ ક્ષણમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો સાથે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

RCB ટીમનું સન્માન થવાનું હતું

આ કાર્યક્રમ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં RCB ટીમને તેમના પ્રથમ IPL ટાઇટલ માટે સન્માનિત કરવામાં આવનાર હતું. ફક્ત પાસ અને ટિકિટ ધરાવતા લોકોને જ કાર્યક્રમમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં, મોટી સંખ્યામાં ચાહકો પરવાનગી વિના પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી.


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ભાગદોડની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, “બેંગલુરુના સ્ટેડિયમમાં થયેલી દુ:ખદ ઘટનામાં જાનહાનિ દુઃખદ અને હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.”