શું પેટ્રોલ-ડીઝલનાં પમ્પો બંધ કરી દેશે ગ્રીન હાઇડ્રોજન, જાણો…

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી પહેલાં તમામ દેશો ઊર્જાનો વૈકલ્પિક અને સ્વચ્છ સ્રોત શોધવામાં લાગ્યા હતા, પણ આ જંગ પછી રશિયાથી આયાતી ઊર્જાના સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે. જેથી હવે આ દેશો હવે પોતાનો ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પડ્યા છે. જોકે ભારતની દૂરગામી વિચારશક્તિને લીધે આ યુદ્ધની પ્રતિકૂળ અસર નથી પડી. ન્યુક્લિયર એનર્જી પણ એક વિકલ્પ છે, પણ એની ભારે કિંમત એક પડકાર છે. ઇલેક્ટ્રિક વેહિકલ ભલે ચર્ચામાં છે, પણ એ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પો જેટલા સોંઘાં નથી પડતાં.

કેન્દ્ર સરકારે કેટલાક દિવસો પહેલાં આશરે રૂ. 20,000 કરોડ (26.5 અબજ ડોલર)  બજેટ સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપતાં એક મોટો નિર્ણય લીધો છે. આ મિશનનો ઉદ્દેશ હાઇડ્રોજનના ઉત્પાદનમાં ઘરેલુ ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે. આમ તો એ પ્રકૃતિમાં સરળતાથી ઉપલબ્ધ છે, પણ શુદ્ધ અને મૌલિક રૂપે કદાચ ક્યારેક જ મળી શકે છે.

પ્રતિ યુનિટ વજનની દ્રષ્ટિએ હાઇડ્રોજનમાં વધુ એનર્જી હોય છે, જેને લીધે એ ક્લીન એનર્જીનો શાનદાર સ્રોત છે. એની ખૂબી એને ટ્રાન્સપોર્ટ, ફર્ટિલાઇઝર અને સ્ટીલ ઉત્પાદનો જેવા ઊર્જા વપરાશ ઉદ્યોગોમાં ઉપયોગી બનાવે છે. વળી ગ્રીન હાઇડ્રોજન એક ટકાઉ સ્રોત છે, કેમ કે એમાં પ્રદૂષણ બહું ઓછું છે અને એ બળતણ આધારિત પરની નિર્ભરતા પણ ઓછી કરવામાં મદદ કરી શકે છે.  વિશ્વના અનેક દેશો ઊર્જા સુરક્ષા વધારવા માટે અને કાર્બન પ્રદૂષણને ઓછું કરવા માટે ગ્રીન હાઇડ્રોજનની ક્ષમતાને વિકસિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

ભારતનો ગ્રીન હાઇડ્રોજન મિશનનો ઉદ્દેશ પ્રતિ વર્ષ કમસે કમ 50 લાખ ટનની ગ્રીન હાઇડ્રોજનની ઉત્પાદન ક્ષમતા વિકસિત કરવાનો અને 2030 સુધી 125 ગિગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાને જોડવાનો છે.