બેન્કોમાં તમારા પૈસા સુરક્ષિત છેઃ ખાતેદારોને રિઝર્વ બેન્કની ખાતરી

મુંબઈ : યસ બેન્કની નાણાકીય કટોકટીના સંદર્ભમાં દેશની બેન્કોમાં જમા કરાવાયેલા જનતાનાં નાણાંની સલામતી અંગે લોકોમાં ફેલાયેલા ગભરાટ અને ચિંતાને ભારતીય રિઝર્વ બેન્કે ફગાવી દીધા છે અને કહ્યું છે કે તમામ ડિપોઝીટ્સ સુરક્ષિત છે.

રિઝર્વ બેન્કે ટ્વીટ દ્વારા લોકોને આ ખાતરી આપી છે.

કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે પોતે દેશની તમામ બેન્કોની કામગીરીઓ પર સતત નિરીક્ષણ રાખી રહી છે. કોઈ પણ બેન્કમાં જમા કરાવેલા પૈસાની સલામતી વિશે લોકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી.

એક નવું બેન્ક કૌભાંડ બહાર આવ્યું અને એને પગલે લોકોને હવે દેશની બેન્કિંગ સિસ્ટમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે એવી અફવાઓ ફેલાઈ છે. આવી અફવાઓ રોકવા માટે જ રિઝર્વ બેન્કે લોકોને આશ્વાસન આપ્યું છે.