ગોદરેજ દહેજમાં વધુ રૂ.300 કરોડનું મૂડીરોકાણ કરશે

ભરૂચઃ ગોદરેજ એન્ડ બોઈસ કંપનીએ જણાવ્યું છે કે તે ગુજરાતના ભરૂચ જિલ્લામાં બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જાણીતા દહેજ ગામમાં આવેલા તેના પ્લાન્ટમાં અધિક રૂ. 300 કરોડનું મૂડીરોકાણ કરશે. વર્ષ 2025 સુધીમાં આ પ્લાન્ટ મારફત થતી આવકને બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે તે એમાં ઈન્વેસ્ટમેન્ટ વધારશે. 

(પ્રતીકાત્મક તસવીર)

ગોદરેજ ગ્રુપની ગોદરેજ પ્રોસેસ ઈક્વિપમેન્ટ કંપની હાઈડ્રોજન અને પાવર સેક્ટરોમાં તેની ક્ષમતા વધારવા માટે વધુ રૂ. 300 કરોડનું મૂડીરોકાણ કરશે. વિસ્તરણને પગલે ઉત્પાદન એરિયા આશરે 25,000 સ્ક્વેર મીટર જેટલો વધી જશે. હાલ આ પ્લાન્ટ તેલ અને ગેસ, રસાયણો અને ખાતર તથા વિદ્યુત ક્ષેત્રોમાંના તેના ક્લાયન્ટ્સને મદદરૂપ થાય છે. આ એકમની સ્થાપના 2016માં કરવામાં આવી હતી.