શ્રીનગરઃ પહલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. શોપિયાં, કુલગામ અને પુલવામામાં આતંકવાદીઓનાં ઘરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે. ગઈ કાલે પણ બુલડોઝર દ્વારા વધુ બે આતંકવાદીઓનાં ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં. હાલના સમયે આતંકવાદીઓને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે. તેમની સામે સેના પગલાં ભરશે.
આ પગલામાં હવે આતંકવાદી આદિલ ઠોકર અને તેના સાથી એક્શન શેખની વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ છે. અહેસાન પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઈને કાશ્મીર ખીણમાં આવ્યો હતો. જૂન, 2023થી સક્રિય લશ્કર-એ-તૈયબા કેડર પુલવામાના મુરાનનો રહેવાસી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IEDનો ઉપયોગ કરીને ઉડાવી દીધું છે. આવી જ બીજી એક કાર્યવાહીમાં બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હતું.
સૈન્ય અને પોલીસના સંયુક્ત અભિયાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી સુરક્ષા દળોએ આતંકવાદીઓના બે શંકાસ્પદ સહયોગીઓની અટકાયત કરી હતી. આ બંનેને કેમોહ વિસ્તારના થોરકપોરાથી પકડવામાં આવ્યા હતા.
પહલગામ હુમલા પછી, છેલ્લા 48 કલાકમાં આદિલ ગોજરી (બિજબેહરા), આસિફ શેખ (ત્રાલ), અહેસાન શેખ (પુલવામા), શાહિદ કુટ્ટે (શોપિયા), ઝાકીર ગની (કુલગામ) અને હરિસ અહેમદ (પુલવામા) એમ કુલ છ આતંકવાદીઓનાં ઘરો તોડી પાડવામાં આવ્યાં છે.કુલગામના ક્વિમોહમાં સુરક્ષા દળો દ્વારા 2023માં લશ્કરમાં જોડાયેલા ઝાકિર ગનીનું ત્રીજું ઘર ગઈ કાલે રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે લશ્કર-એ-તૈયબા ના ચાર આતંકવાદીઓના એક જૂથે, ગોળીઓ, AK47 રાઇફલ્સથી સજ્જ અને બોડી કેમેરા પહેરેલા, હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી મોટા ભાગના પ્રવાસીઓ હતા અને ભારતનાં વિવિધ રાજ્યોમાંથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા આવ્યા હતા.
