એર માર્શલ અમર પ્રીત સિંહ બનશે વાયુસેનાના આગામી વડા

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના આગામી વડાના નામને મંજૂરી આપવામાં આવી છે. એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપે છે. તેઓ 30 સપ્ટેમ્બર 2024ની બપોરથી એર ચીફ માર્શલ તરીકે આગામી વાયુસેનાના વડા તરીકે સેવા આપશે.

વર્તમાન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી 30 સપ્ટેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે, ત્યારબાદ એર માર્શલ અમર પ્રીત સિંહ વાયુસેનાની કમાન સંભાળશે. નોંધનીય છે કે એર માર્શલ અમર પ્રીત સિંહે 1 ફેબ્રુઆરી 2023ના રોજ ભારતીય વાયુસેનાના 47મા વાઇસ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ તેઓ પ્રયાગરાજમાં સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતા. ભારતીય વાયુસેનામાં તેમની સફર 1984માં શરૂ થઈ હતી.

તેમની કારકિર્દી દરમિયાન એર માર્શલ અમર પ્રીત સિંહે ઓપરેશનલ ફાઇટર સ્ક્વોડ્રન અને ફ્રન્ટલાઈન એર બેઝની કમાન્ડ કરી છે. ટેસ્ટ પાઇલટ તરીકે, તેમણે મોસ્કોમાં મિગ-29 ફાઇટર અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું અને સ્વદેશી તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) પણ હતા.