મુંબઈ: સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદને લઈને વિવાદ, ઉંદરો દેખાતાં ટ્ર્સ્ટે આપ્યું નિવેદન

મુંબઈ: તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદને લઈને એક વીડિયો ક્લિપ સામે આવી છે. વીડિયોમાં મંદિરના પ્રસાદ લાડુમાં ઉંદરોના બચ્ચા જોવા મળ્યા હતા. આ અંગે મામલો વધ્યા બાદ મંદિર ટ્રસ્ટનું નિવેદન સામે આવ્યું છે.

મંદિર ટ્રસ્ટનો દાવો છે કે આ ક્લિપ અમારા મંદિરની નથી, પરંતુ બહાર ક્યાંક રાખવામાં આવી છે. કોઈએ પ્લાસ્ટિકની થેલીઓમાં ઉંદરોને રાખ્યા છે. ટ્રસ્ટે કહ્યું કે આ મામલાની તપાસ ડીસીપી સ્તરના પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે. આ ક્લિપ ક્યારે બની, ક્યાં બનાવવામાં આવી, બેગ ક્યાંથી આવી અને કોણે રાખી તે તપાસમાં બહાર આવશે.

ટ્રસ્ટે ઉમેર્યુ કે, જો કોઈ મંદિર પરિસરમાં આવું કરે છે, તો તમામ સીસીટીવી પણ તપાસવામાં આવશે. જ્યાં લાડુનો પ્રસાદ બનાવવામાં આવે છે ત્યાં તપાસ થશે, લાડુ માટે ઉચ્ચ ગુણવત્તાનું ઘી અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું BMC લેબમાં પરીક્ષણ કરવામાં આવે છે, તેથી આ ક્લિપની તપાસ થશે. ટ્રસ્ટનો પ્રસાદ હંમેશા સાફ હોય છે. ટ્રસ્ટ વિરુદ્ધ ષડ્યંત્ર પણ હોય શકે. તપાસમાં જે પણ દોષિત ઠરશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

જે વીડિયો બહાર આવ્યો છે એમાં પ્રસાદનું એક કેરેટ દેખાઈ રહ્યું છે, જેને છીણવામાં આવ્યું છે. કેરેટના એક ખૂણામાં ઉંદરના બચ્ચાં જોવા મળે છે. રિપોર્ટ અનુસાર સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ 50 હજાર લાડુ બનાવવામાં આવે છે. તહેવારોના સમયમાં પ્રસાદની માંગ વધુ વધી જાય છે. પ્રસાદ માટેના પેકેટમાં બે લાડુ હોય છે.