આત્મઘાતી હુમલામાં સેનાના 13 જવાનોનાં મોતઃ 10 ઘાયલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં એક આત્મઘાતી હુમલામાં 13 સૈનિકોનાં મોત થયાં છે. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલામાં 19 સામાન્ય નાગરિકોને પણ ઇજા પહોંચી છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકો ભરેલી વાહન લઈને સૈન્ય કાફલામાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ થયેલા વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા, 10 સૈનિકો અને 19 નાગરિકો ઘાયલ થયા. આ વિસ્ફોટથી આસપાસના ઘરોને પણ નુકસાન થયું છે.

ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓ વધ્યા
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનમાં આવા હુમલાઓ વધી રહ્યા છે. આવા સમયમાં આ વધુ એક મોટો હુમલો પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે. માર્ચમાં પાકિસ્તાની સૈન્યએ દાવો કર્યો હતો કે તેણે TTP સાથે સંબંધિત 10 શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. દક્ષિણ વઝીરિસ્તાનમાં જંડોલા ચેકપોસ્ટ પાસે ફ્રન્ટિયર કોરના કેમ્પ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલા પછી પાકિસ્તાની સૈન્યએ જવાબી કાર્યવાહી કરીને આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

પાકિસ્તાની સૈન્ય પર થયેલા અગાઉના આતંકી હુમલાઓ
છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાની સૈન્ય પર અનેક આતંકી હુમલાઓ થયા છે. ડિસેમ્બર 2024માં એક હુમલામાં 16 સૈનિકો માર્યા ગયા હતા અને 8 ઘાયલ થયા હતા. આ હુમલો અફઘાનિસ્તાનની સરહદ પાસે થયો હતો અને તેની જવાબદારી TTPએ લીધી હતી. જ્યારે જાન્યુઆરીમાં બલૂચ લિબરેશન આર્મીએ કેચ વિસ્તારમાં 35 હુમલાઓ કર્યા હતા અને 94 સૈનિકોની હત્યાનો દાવો કર્યો હતો. જૂનમાં ગ્વાદરના સયાબદ વિસ્તારમાં બલૂચ આર્મીએ હુમલો કર્યો હતો, જેમાં 16 સૈનિકોનાં મોત થયાં હતાં.