ત્રીજી T20I મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ પર રોમાંચક વિજય…
ભારતીય ક્રિકેટ ટીમે 29 જાન્યુઆરી, બુધવારે હેમિલ્ટનમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને અત્યંત રોમાંચક એવા સુપર ઓવર પરિણામમાં પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતે પાંચ-મેચોની શ્રેણીને 3-0ની સરસાઈ સાથે કબજામાં લઈ લીધી છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.
એના જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ ભારે નાટ્યાત્મક વળાંકોવાળો બની રહ્યો હતો. જીતની એકદમ નજીક આવવા છતાં ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન કરી શકી હતી. આમ, મેચ ટાઈ થઈ હતી અને પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો.