મુંબઈના ખારમાં મકાન હોનારત; બાળકીનું મરણ…

મુંબઈના ખાર રોડ ઉપનગરમાં પશ્ચિમ ભાગના 17મા રોડ પર ખાર જિમખાના નજીક આવેલા પાંચ-માળના રહેણાંક મકાન ‘પૂજા’નો એક મોટો ભાગ 24 સપ્ટેંબર, મંગળવારે બપોરે તૂટી પડતાં 10-વર્ષની એક બાળકીનું મરણ નિપજ્યું છે. ભાગ તૂટી પડતાં જ મકાનને તરત જ ખાલી કરાવવવામાં આવ્યું હતું. પોલીસ, અગ્નિશામક દળ તથા NDRFની ટૂકડીના જવાનોએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ 10-વર્ષની માહી મોટવાની નામની એક છોકરી તૂટી પડેલા ભાગમાં સીડી પર ફસાઈ ગઈ હતી. માહીને કાટમાળ નીચેથી બચાવી લેવામાં આવી હતી અને તત્કાળ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ ત્યાં ડોક્ટરોએ એને મૃત લાવેલી ઘોષિત કરી હતી.

બે અઠવાડિયા પહેલાં મકાન હલવા માંડ્યું હતું એટલે મકાનના બધા રહેવાસીઓએ ગભરાટના માર્યા તે ખાલી કરી દીધું હતું. ત્યારબાદ મકાનમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. આજે મજૂરો સમારકામ કરતા હતા ત્યારે એનો એક ભાગ તૂટી પડ્યો હતો.