મારા વરિષ્ઠ સહયોગી શ્રીમતી ફોરમ શાહ એક દિવસ આવીને મને કહેવા લાગ્યાં, “સર, તમે નવા ક્લાયન્ટ શ્રી અને
શ્રીમતી રેગે સાથે વાત કરી શકશો? તેઓ પોતાની સંપત્તિ વિશે વધુપડતી ચિંતા કરે છે.”
છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ કે લોકોમાં પૈસા, સંપત્તિ, વગેરે વિશેની ચિંતા ઘણી વધતી જાય છે. ખરું પૂછો તો અમારી ઑફિસમાં અમે હવે એવું કહેવા લાગ્યા છીએ કે નાણાકીય આયોજન ખરેખર નાણાંનું નહીં, માનસિકતાનું આયોજન છે.
સૌ જાણે છે, છતાં અહીં ફરી કહેવાનું કે ચિંતાથી ક્યારેય કોઈ સમસ્યા હલ થતી નથી. તેનાથી લાંબા ગાળે તબિયતને નુકસાન થાય છે. આ વિષયે કબીરનો એક દુહો નોંધનીય છેઃ
चिंता से चतुराई घटे, घटे रूप रंग ज्ञान;
चिंता बड़ी अभागनी, चिंता चिता समान
આપણામાં પણ ચિંતાને ચિતા સમાન કહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ એક વખત કહ્યું હતું, “ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એક વર્ષ પહેલાં તમે શેની ચિંતા કરતા હતા એ યાદ પણ નહીં આવે.“

એવું દૃઢપણે કહેવાય છે કે જેમને ભગવાનમાં શ્રદ્ધા નથી હોતી એ જ લોકો ચિંતા કરતા હોય છે.
આજકાલના યુવાનો ઝડપથી પૈસા કમાઈ લેવા માગતા હોય છે; એમને ધીરજ હોતી નથી. જો તેઓ અત્યારે ધન નહીં કમાય તો ક્યારે કમાશે અને ક્યારે મોજમજા કરશે. આ વિચારસરણીને લીધે જીવન ઊંધા રવાડે ચડી જાય છે, આરોગ્યને નુકસાન થાય છે અને બીજી પણ સમસ્યાઓ સર્જાય છે. પૈસાની પાછળ દોડવાથી કોઈ સમસ્યા હલ થતી નથી. સંપત્તિનું સર્જન કરવું જ જોઈએ અને ભૌતિક જીવનનો આનંદ પણ માણવો જોઈએ, પરંતુ જો એમ કરતી વખતે ચિંતા, અસલામતી, લઘુતાગ્રંથિ અનુભવાય તો એ કમાણીનો કોઈ અર્થ નથી.
અમે ઘણા ક્લાયન્ટ્સમાં જોયું છે કે પૈસા વિશે ચિંતા કરવાનો એમનો સ્વભાવ બની ગયો છે. સામાન્ય જીવન જીવવા માટે પૂરતું રોકાણ હોવા છતાં અને પોતાનાં નાણાકીય લક્ષ્યોમાંથી મોટાભાગનાં લક્ષ્યો સિદ્ધ કરવાનું શક્ય હોવા છતાં તેઓ પૈસાની ચિંતા કરતા હોય છે.
યોગિક વેલ્થ પ્રસન્ન જીવન જીવવાનું કહે છે. ચિંતા કરતાં રહીએ તો ધન શું, બીજી કોઈ વસ્તુનો આનંદ માણી શકાતો નથી. ભવિષ્યમાં કોઈ બનાવ બને અને કદાચ ન પણ બને. આ અનિશ્ચિતતાને લીધે પરેશાની થાય છે, પરંતુ હકીકતમાં જીવનમાં કંઈ જ નિશ્ચિત હોતું નથી. આથી જ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના શ્લોક ક્રમાંક 47માં ભગવાન કૃષ્ણે કહ્યું છેઃ
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ||
આડકતરી રીતે કૃષ્ણે કહ્યું છે કે અત્યારે જે કર્તવ્ય નિભાવવાનું છે એ નિભાવો અને ભવિષ્યની ચિંતા નહીં કરો. ભવિષ્ય આપણા હાથમાં નથી, જે કંઈ કરી શકાય એ વર્તમાનમાં જ કરી શકાય છે. આથી ભવિષ્યની ચિંતા કરવાને બદલે બધું ઈશ્વર પર છોડી દો. આપણા માટે જે સારું હશે એ એમણે નક્કી કરી રાખ્યું છે.

પૈસા કે સંપત્તિની વાત આવે ત્યારે કહેવું ઘટે કે આપણે ચાદર પ્રમાણે જ સોડ તાણવી જોઈએ. પોતાની જવાબદારીઓ નિભાવવી, બચત કરવી અને રોકાણ કરવું.
કેટલાક લોકો મને પૂછતા હોય છે કે ભવિષ્યની ચિંતા કરવાની ન હોય તો ભવિષ્ય માટે બચત અને રોકાણ કરવાં કે નહીં? મારો જવાબ હોય છે, ભવિષ્ય માટે હાલ બચત પણ કરવી અને રોકાણ પણ કરવું. પોતાનું કર્મ કરતાં જાઓ, પણ ફળની આશા નહીં રાખો. સટ્ટો નહીં ખેલો અને ટૂંકા રસ્તે પૈસા કમાવાનું નહીં વિચારો.
ભગવદ્ ગીતાના શ્લોક ક્ર. 16.13 અને 16.14માં આસુરી વૃત્તિ ધરાવતી વ્યક્તિ વિશે કહેવાયું છે. આવી વ્યક્તિ હંમેશાં વિચારતી હોય છે કે મારી પાસે ઘણું ધન આવી ગયું હોવાથી હું મારી ઈચ્છાઓ પૂરી કરીશ. આ મારું છે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે મારી પાસે હશે.
ભવિષ્યમાં રાચતી વ્યક્તિ પોતાના માટે અને સમાજની અન્ય વ્યક્તિઓ માટે તકલીફો ઊભી કરતી હોય છે. વર્તમાનમાં જીવો, પૈસાની ચિંતા કરવાનું બંધ કરો. પ્રસન્નતા બક્ષતી યોગિક વેલ્થ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)


