વાસ્તુ: શું ઘરમાં આ પ્રકારના વૃક્ષ વાવવાથી કરોડપતિ બની શકાય?

સત્ય એટલે શું? કોઈ એક વ્યક્તિ જેને સત્ય માને છે તે અન્ય માટે અસત્ય હોઈ શકે. એનું કારણ છે કે વ્યક્તિનો અનુભવ, વિચારધારા, વાતાવરણ, ઉછેર, માન્યતા વિગેરેની અસર પણ વ્યક્તિગત સત્ય પર પડતી હોય છે. આપણે જેને સનાતન સત્ય કહીએ છીએ એના પર પણ સવાલો ઉદ્ભવ્ય છે. તો વ્યક્તિગત સત્યની પરિભાષા તો અલગ હોઈ જ શકે ને? પૃથ્વીનો આકાર કોઠાના ફળ જેવો છે એવું ભાશ્કારચાર્ય એ કહ્યું એના હજારો વરસ પછી એનો આકાર સંતરા જેવો છે એવી વાત આવી. પણ પ્રચલિત વાત કઈ છે? વળી પહેલી વાત વધારે યોગ્ય છે. પણ જે શીખવાડવામાં આવ્યું તે જ સાચું એવું પણ ન હોય ને? ક્યારેક સત્ય સામે હોવા છતાં મનના આવરણો ના કારણે તે દેખાતું નથી.

સતત કોઈને નીચા દેખાડવા એ ભારતીય સંસ્કૃતિ નથી. વળી કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી ન જ કરાય. આ બધુજ સમજવા છતાં જે રીતે લોકો અન્યને નીચા દેખાડીને રાજી થાય ત્યારે સંસ્કૃતિ અને સમાજ માટે ચિંતા જરૂર થાય. પણ એ એક સત્ય જ છે. કે લોકો બદલાઈ રહ્યા છે. પણ આપણા શાસ્ત્રોની અસર એટલી જ સચોટ છે એ એક સનાતન સત્ય છે.

મિત્રો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ જરૂર નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: પદ્મ એવોર્ડ કોને મળવા જોઈએ એના વિશે મારા મનમાં અનેક સવાલો છે. ભારતમાં ઘણા એવા લોકો હશે જે આ એવોર્ડ માટે લાયક હશે પણ એમને આ એવોર્ડ કેવી રીતે મળે એની સમજણ નહિ હોય. પણ એક વ્યક્તિ જે ઘર, પરિવાર, સમાજ, એવા વિવિધ સ્તરે સતત કોઈ સારું કામ કરતી હોય તો એને એવોર્ડ ન મળવો જોઈએ? ભારતીય વાસ્તુમાં કોઈ એવા નિયમ છે કે જેના લીધે સતત એવોર્ડ મળ્યા કરે? એવું સાંભળ્યું છે કે આપને 100 થી વધારે એવોર્ડ મળ્યા છે.

જવાબ: જેમને કામ જ કરવું છે. એમને એવોર્ડ મળે એની કોઈ ભૂખ નથી હોતી. આત્મસન્માનથી મોટું કોઈ સન્માન નથી હોતું. ભારતીય સમાજ વ્યવસ્થા ના મૂળ અન્ય માટે જીવવાનું જ શીખવાડે છે. જયારે કોઈ એવોર્ડની પ્રથા નહોતી ત્યારે પણ લોકો અન્યને મદદ કરતા જ હતાને?

પૂર્વ દિશા એ માન સન્માનની દિશા છે. પૂર્વ સમૃદ્ધ હોય તો સન્માન ચોક્કસ મળે. પણ એ સન્માન મેળવવા માટે કાર્ય પણ કરવું જ પડે ને? વાસ્તુ નિયમો ઉદ્દીપકનું કાર્ય કરે છે. ક્રિયા તો કરવી જ પડે છે. વળી એવોર્ડ મળવાથી માણસને સન્માન મળી જ ગયું એવું પણ ન માની શકાય. અંગ્રેજોએ એવોર્ડ આપીને રજવાડા પોતાના કરવા પ્રયાસ કર્યો જ હતો. એવોર્ડ એ માત્ર ક્ષણિક સન્માન છે. તેથી જ જે કર્મ યોગી છે એમને એવોર્ડ મળે કે ન મળે એની કોઈ ચિંતા હોતી નથી.

સવાલ: સાહેબ, એક પ્રદર્શનમાં જવાનું થયું. ત્યાં એક ઝાડ વેચાતું હતું. વેચવાવાળા એવો દાવો કરતા હતા કે આને ઘરમાં રાખવાથી કરોડપતિ થઇ જવાય. માત્ર 100 રૂપિયામાં એ વેંચાતું હતું એટલે મેં લઇ લીધું. મને કોઈ ફર્ક પડ્યો નથી. આવું કઈ રીતે થાય?

જવાબ: ભારતીય વાસ્તુમાં આવી કોઈ વાત નથી. જો એ ઝાડ કરોડપતિ બનાવતું હોત તો એ લોકો પોતાના જ ઘરમાં રાખત ને?

સુચન: કોઈ માનવ સર્જિત વસ્તુ ઘરમાં રાખીએ તો એ પોતાની ઉર્જા થકી કરોડપતિ બનાવવા સક્ષમ હોઈ શકે એ માત્ર માન્યતા ગણી શકાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)