વાસ્તુની મદદથી રાજકારણમાં જવાય?

બરાબર એક વરસ પહેલાનો વિચાર કરીએ તો કોરોના નો ભય ધીમે ધીમે વધી રહ્યો હતો. આજની તારીખમાં કેટલાકને એ ભય કાલ્પનિક લાગવા માંડ્યો છે. ભયની પરાકાષ્ટા પછી જાણે નિર્ભયતા પ્રસરી રહી છે. આ જ જીવન છે. પરિવર્તન એ કુદરતનો ક્રમ છે. એક ક્ષણ પછી શું થશે એની ખબર નથી છતાં પણ માણસ દસકાઓનું પ્લાનિંગ કરે છે. અને અંતે એ પ્લાનિંગ ખોટું પણ સાબિત થઇ શકે છે. તો શું દરેક ક્ષણને જીવી ન શકાય? ભવિષ્યની ચિંતામાં જે સમય આપણા હાથમાં છે એને શા માટે બગાડવો? આવી વિચારધારા માટે સકારાત્મક ઉર્જાની જરૂર પડે છે. જે મળે છે વાસ્તુશાસ્ત્ર થકી.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોઉં જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: સર, મારી ઉંમર ત્રીસ વરસની છે. મારા લગ્ન થયા પછી લાંબા સમય સુધી મને બાળકો ન થયા. શરૂઆતમાં મારા સાસરિયા સારી રીતે રહેતા. ધીમે ધીમે એમનો ત્રાસ વધતો ગયો અને એક દિવસ મારા પતિ મને મારા પિયર મૂકી ગયા. પછી મારા સાસુનો ફોન આવી ગયો કે હવે મારે પાછા નથી જવાનું. હું સાસરે ન જાઉં તો મારા માબાપની આબરૂ જાય. શું કરવું સમજાતું નથી. કોઈ સોલ્યુશન હોય તો જણાવવા વિનંતી.

 

જવાબ: બહેનશ્રી, લગ્ન એ સામાજિક જરૂરિયાત છે. દરેક માણસ પોતાની પ્રતિકૃતિ બનાવવાની ઈચ્છા ધરાવે છે. જેમાં પોતાની પેઢીને આગળ વધારવાની પ્રક્રિયા પણ સામેલ છે. એક સ્વસ્થ સમાજની ધારણા સાથે લગ્નની પ્રક્રિયા પ્રચલિત થઇ. તમારા લગ્ન થયા ત્યારે કોઈ એવી શરત હતી કે તમારે બાળકોને જન્મ આપવો જ પડશે? માતૃત્વ ધારણ કરવું કે નહિ તે નિર્ણય માતાએ લેવો જરૂરી છે. વળી બાળકના જન્મ માટે માતાપિતા બંનેની જરૂર પડે છે. આપના બંનેના રીપોર્ટ કરાવ્યા છે ખરા? વળી જે ઘરમાં આપણે તકલીફ પડી છે ત્યાં ફરી સ્વમાનના ભોગે માત્ર માબાપની આબરુને માટે પાછા ગયા બાદ આપ સુખી થશો ખરા? સમાજના ભયથી આવા નિર્ણય ન જ લેવાય. વળી ખોટું તો સામે વાળાએ કર્યું છે. તમે શા માટે ગભરાવ છો? તમારા પિયરના ઘરમાં વાયવ્યનો દોષ છે જે બાળકોની ચિંતા કરાવે. સાસરીના ઘરમાં પૂર્વ અને ઉત્તરના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક છે. જેના કારણે બાળકો ન થાય તેવું બની શકે. વળી આપના પતિનો આત્મવિશ્વાસ પુરતો નહિ હોય. આપ શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, દહીંમાં કાળા તલ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવો. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો.

સવાલ: મયંકજી, નમસ્તે. ઘરમાં એવું શું કરીએ કે જેનાથી રાજકારણમાં જઈ શકાય?

જવાબ: ભાઈશ્રી, રાજકારણમાં જવા માટેનું કોઈ કારણ નક્કી છે કે પછી માત્ર શોખથી એ કામ કરવું છે? રાજકારણ શબ્દને લોકોએ અલગ રીતે વિચારવાનું શરુ કર્યું છે. ખરેખર તો આપણા નેતા એ લોકસેવકો ગણાય. એ લોકો જન પ્રતિનિધિ જ છે. વહીવટ કૌશલ્ય હોય તો જરૂર એ કામ કરવું જોઈએ. જો અન્ય કોઈ ઉદ્દેશ હોય તો એમાં ન પડાય. આપના ઘરનોઅભ્યાસ કરતા જણાય છે કે ઈશાનથી નૈરુત્યનો અક્ષ નકારાત્મક છે. તેથી આપ જે ધારો છો તેવી સફળતા ન મળે. પણ જો સારા કામ માટે આપને રાજકારણમાં જવું હોય તો સવારે વહેલા ઉઠી અને સૂર્યને જળ ચડાવો. વડીલો અને સાત્વિક માણસોને સન્માન આપો. આપના ઘરના ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. આપનાબેડરૂમમાંપશ્ચિમની દીવાલ પર આછો જાંબલી રંગ લગાવી દો. ઘરમાં ગુગળ, અંબરનોધૂપ કરો.

આજનું સૂચન: સવારે વહેલા ઉઠવાથી સકારાત્મક ઉર્જા વધે છે.

 

(વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો. આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)