સુસ્ત જીવન : ડિપ્રેસન કે ડિસિપ્લિનનો અભાવ

ઘણીવાર જીવનમાં રુચિ ના લાગવી, કામમાં મન ના લાગવું અને મોબાઈલ પર સતત સ્ક્રોલિંગ કરવું વગેરે જેવી બાબતોને લોકો ડિપ્રેસન સમજવા લાગ્યા છે, છતાં તે અલગ સમસ્યા છે. હતાશા કે આળસ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક ન કરવાનું પસંદ કરે છે, ભલે તે કરી શકે. તેનાથી વિપરીત, ડિપ્રેશન ધરાવતા લોકો આળસુ લાગે છે કારણ કે તેમની અંદરની ઈચ્છાશક્તિ અને આત્મબળ ઓછું હોય છે. આ સમસ્યા ડિપ્રેસન ડિસઓર્ડરના લક્ષણોને કારણે છે. જે એક એવી સ્થિતિ છે જેને પ્રોફેશનલ કાઉન્સેલિંગની જરૂર છે. જયારે માત્ર કારણ વગર આળસ ચડવી એ પ્લાનિંગ કે ડિસિપ્લિન વગરના જીવનના લક્ષણો છે.

જીવનમાં ઘણી વખત કાઉન્સેલિંગ અને કાઉન્સેલર્સ કરતાં માત્ર ડિસિપ્લિનની જરૂર વધુ હોય છે. નિયમિતપણું તમને હતાશામાં ડૂબવા દેતું નથી. ઘણી વાર નાના નાના અને સામાન્ય કામ કરવા ઘણા જરૂરી હોય છે. જે આત્મવિશ્વાસ અને નિયમિતતા જાળવવામાં ખૂબ મદદ કરે છે. નાના ગોલથી મોટી સિદ્ધિઓ આસાન બની જાય છે. જીવનના અદ્ભૂત રહસ્યો પણ નિયમિતતામાં રહેલા છે. નાની નાની આદતો અને દાદી નાનીએ શીખવેલી માન્યતાઓ પાછળ ઘણા કારણો અને લોજીક હોય છે. સૂરજ ઉગ્યા પહેલા ઉઠવું, વહેલું સૂવું, વગેરે સામાન્ય નિયમો બોડી ક્લોક પર આધારિત હોય છે જે પાચન અને નિદ્રાને નિયંત્રિત કરે છે. ઊંધી દિશાએ ના સૂવું વગેરે જેવી માન્યતાઓ,પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડનો પ્રભાવ પર આધારિત હોય માનસિક જીવનમાં ઘણા ઉપયોગી બને છે.

આ ઉપરાંત પણ ઘણા એવા નજીવા કાર્ય જે અત્યારે આપણે બિલકુલ કરતાં નથી કેમકે તે બહાર કરવા માટે પ્રોફેશનલની મદદ લેવાતી હોય છે. જે તદ્દન લુપ્ત થઇ રહ્યા છે, જેમકે, શર્ટના બટન ટાંકવા, હૂક કે ગાજ કરવા, અનાજ સાફ કરવાં વગેરે,નાના કામો કોન્સન્ટ્રેશન પાવર વધારવામાં ખૂબ ઉપયોગી બને છે.

અટેન્સનને લગતી બીમારીઓ વધાવાનું કારણ આજે એ પણ છે કે આપણે ધીરજથી થતાં કાર્ય કરવાનું ભૂલી રહ્યા છીએ. મોબાઈલ પર ઇન્સ્ટાગ્રામની રિલ આખી જોઈ શકતા નથી કે એડને સ્કિપ કરવા બેબાક બની જઈએ છીએ. એક સર્વે અનુસાર લોકોનો અટેન્સન સ્પાન જે પહેલા 9 મિનિટનો હતો,જે ઘટીને 6 મિનિટ થઇ ગયો છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક બને છે. કારણ વગર મોબાઈલ સ્ક્રોલ કરી કરીને એક ઇન્ફોરમેશનના ઓવરલોડ સામે ઝઝૂમી,મહત્વના કામો ભૂલવું હવે રોજનું છે. એમાં ભૂખ કે ઊંઘની પણ ખબર રહેતી નથી. જે નિયમિતતા ખોરવે છે. ઘણી વાર અનહદ કાબુ વગરનું જીવન હતાશામાં ફેરવાઈ જાય છે. અરુચિનું કારણ ડિપ્રેસન નહીં પણ ડિસિપ્લિનનો અભાવ છે.

 

નાની નાની બાબતો જેમ કે:

પોતાનું કામ જાતે કરવું.

રાત્રે સૂતાં પહેલા બીજા દિવસનું પ્લાનિંગ.

સોશિયલ મીડિયા માટે મર્યાદિત સમય નક્કી કરવો.

આ રીતે શિસ્ત અને ધીરજભર્યું જીવન આપણે સફળતા તરફ લઈ જાય છે. જ્યારે જીવનમાં નિયંત્રણ હોય છે, ત્યારે આપણે દિમાગી થાક અને વ્યર્થતાની લાગણીમાંથી બચી શકીએ છીએ. નિયમિતતાના આ સૂત્રને પકડીને આપણે આરોગ્ય, આનંદ અને આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવી શકીએ છીએ.

અંતે, દરેક વાર આ વિચાર કરવો જોઈએ કે “શું હું ખરેખર ડિપ્રેસ્ડ છું કે માત્ર નિયંત્રણ વિના જીવતો છું? “કારણ કે ડિપ્રેશનને દવા જોઈએ પણ શિસ્ત, એ તો સ્વનિર્ભર દવા છે,આપણી જ અંદર છુપાયેલી!

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)