ફુલટાઈમ હોમમેકરનો પગાર કેટલો?

અમેરિકાના બોસ્ટન શહેરમાં એક કંપની છે, જેનું કામ છે પગાર વિશે જાતજાતનાં સર્વેક્ષણ કરવાનું. કઈ ડિગ્રી કેટલું ભણતર, અનુભવી કે ફ્રૅશર, જેવા માપદંડના આધારે કેટલો પગાર મળવો જોઈએ એ નક્કી કરે. આટલું વાર્ષિક પૅકેજ મળવું જોઈએ. આ માટે કંપની અવારનવાર વિવિધ શહેરમાં, વિવિધ ક્ષેત્રનાં પગારધોરણ વિશે સર્વે કરાવે છે, જેનાં પરિણામ નોકરી વાંચ્છુકને તેમ જ નોકરી આપનાર કંપનીને, બન્નેને મદદરૂપ થાય છે.

હમણાં થોડા સમય પહેલાં આ કંપનીએ એક સર્વે કર્યો કે, એક સ્ત્રી, જે આખો દિવસ માત્ર ઘરનાં કામ જ કરે છે, ફુલટાઈમ હોમમેકર એટલે કે ગૃહિણી છે એને પગાર આપવાનું નક્કી થાય તો કેટલો, અથવા વાર્ષિક કેટલા પગારનું પૅકેજ બને?

પહેલાં તો એ ઍનાલિસીસ થયું કે એક સ્ત્રી, ધારો કે, હોમમેકર નથી તો કઈ કઈ જૉબ કરે છેઃ દાક્તર, નર્સ, ટીચર, ઍકાઉન્ટન્ટ, ક્લર્ક કે પછી નેશનલ-મલ્ટિનેશનલ કંપનીની સીઈઓ, વગેરે. આ બધી ફુલટાઈમ જૉબ કરનારી મહિલા દરરોજ કેવાં કામ કરે છે, કેટલી ઊર્જા ખર્ચે છે, કેવા કેવા લોકો સાથે એમનો પનારો પડે છે એની યાદી બનાવવામાં આવી.

આ ખરેખર સમજવા જેવી વાત છેઃ તમે જ્યાં જૉબ કરો છો અથવા તમારો નાનો-મોટો બિઝનેસ છે તો એમાં તમારે દરરોજ અમુક જ લોકો સાથે પનારો પાડવાનો હોય છે. બીજી તરફ ગૃહિણીએ રોજિંદા જીવનમાં કેવાં કેવાં કાર્ય કરવાનાં હોય છે તથા જાતજાતના લોકો સાથે પનારો પાડવાનો હોય છેઃ સવારના પહોરમાં સ્કૂલી બચ્ચાં, પતિ માટે ચા-નાસ્તો અને ટિફિન તૈયાર કરવાથી લઈને, રસોઈ તથા અન્ય કામ.

-અને કેવા કેવા લોકો સાથે રોજ એનો ભેટો થાય છે? શાકબકાલું કે અન્ય ચીજવસ્તુ વેચનારા, પતિ-સંતાનો, સંયુક્ત કુટુંબ હોય તો સાસુ-સસરા, અવારનવાર વૃદ્ધ માતા-પિતાની દેખભાળ, ઘરકામ કરનારી બાઈ, જો ઘરમાં કાર હોય તો ડ્રાઈવર, કોઈ સભ્યએ ઑનલાઈન મંગાવેલી ચીજ ડિલિવર કનાર, ઈસ્ત્રી કરવાવાળો, કપડાંની સંખ્યા ડાયરીમાં નોંધવાની, કૂરિયર કંપનીનો માણસ, બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ, ઘરમાં કંઈ બગડ્યું તો એ રિપેર કરવા આવનાર… યાદી ઘણી લાંબી છે. ટૂંકમાં એનું વેરાઈટી ઑફ વર્ક છે અને ક્લાસ વનથી ક્લાસ ફૉર સુધીની રેન્જના વેરાઈટી ઑફ પીપલ છે. તમારે નોકરી કે બિઝનેસમાં આટલીબધી વેરાઈટી નથી.

પરિણામ આવતાં સર્વે અથવા ઍનાલિસીસ કરનારા આશ્ચર્ય પામી ગયાઃ આટલાં કામ તો ફુલટાઈમ સીઈઓ પણ નથી કરતા. એમણે ત્રિરાશિ માંડીને પગાર નક્કી કર્યોઃ 1,78,201 ડૉલર. વર્ષે આશરે દોઢેક કરોડ રૂપિયા. એમાંયે, કોવિડકાળમાં આ આંકડો વધીને બે કરોડ પર પહોંચ્યો, કારણ બાળકો, પતિ, વગેરે ચોવીસ કલાક ઘરમાં હતાં એટલે કામનો બોજ, કામના કલાક વધ્યા.

આ અઠવાડિયે આ વિષય માંડવાનું પ્રયોજન એ કે ઘણી વાર મને પ્રવચનનો વિષય આપવામાં આવતો હોય છે કે કુટુંબમાં સંવાદિતા જાળવવાની તરકીબ. તો જાણી લેજો કે, તમે કૉલર ટાઈટ કરીને કહો છો કે “મહિને સિત્તેર-પંચોતેર હજાર પાડું છું, મારા પગાર પર જ ઘર ચાલે છે, નોકરીનું મારે કેટલું ટેન્શન રહે છે…” તો એક રીતે તમે સાચા છો, પણ એય જાણી લેજો કે તમારાં ધર્મપત્ની વરસેદહાડે દોઢ-બે કરોડ રૂપિયાનું કામ કરે છે. આથી, હવે પછી આરામખુરશીમાં ઝૂલતાં ઝૂલતાં ઑર્ડર છોડો ત્યારે આ હકીકત ધ્યાન રાખજો, એમને રિસ્પેક્ટ આપજો.

બસ, આટલી વાત સમજાઈ જશે તો ઘરમાં સંસ્કાર અને ખાસ તો સંવાદિતા જળવાઈ રહેશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)