મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે સમજવું મુશ્કેલ બની ગયું છે કે કોણ ક્યારે અને ક્યા પક્ષ સાથે જઈ શકે. તાજો મામલો હવે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને લઈને સામે આવ્યો છે. AIMIMની મહારાષ્ટ્ર યુનિટે સંકેત આપ્યો છે કે તે આગામી BMC અને સ્થાનિક ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા તૈયાર છે.
AIMIMએ શા માટે સંકેત આપ્યો?
હાલમાં જ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના (UBT)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે દ્વારા તમામ બિન મહાયુતિ પક્ષોને મહારાષ્ટ્રના હિત માટે એક થવાની અપીલ કરવામાં આવી હતી. આદિત્યએ જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના હિત માટે દરેકને સાથે લેવા તૈયાર છે. આ ગઠબંધન અંગેની આદિત્યની પહેલ પર AIMIMએ સકારાત્મક સંકેત આપ્યા છે. AIMIMની મહારાષ્ટ્ર યુનિટ ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા તૈયાર છે.
AIMIMએ શું કહ્યું છે?
AIMIMના વિધાનસભ્ય મુફ્તિ ઇસ્માઇલે જણાવ્યું છે કે તેમની ઈચ્છા છે કે ઠાકરે અને ઓવૈસી સાથે આવે. તેમણે કહ્યું હતું કે તેઓ આદિત્યના પ્રસ્તાવ પર વિચાર કરશે. મુફ્તિ ઇસ્માઇલે વધુમાં કહ્યું કે અમારા માટે ધર્મ કોઈ મુદ્દો નથી, વિકાસના મુદ્દે વાત કરી શકાય છે. વિકાસને મુદ્દે જો કોઈ અમને બોલાવશે તો અમે પોતે આગળ વધીને જઈશું. જોકે તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે આ મામલે આખરી નિર્ણય AIMIMના પ્રમુખ ઓવૈસી લેશે.
તેમણે કહ્યું હતું કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં પણ અમે ગઠબંધનની કોશિશ કરી હતી. અમે મહાવિકાસ આઘાડીમાં આવવા માગતા હતા, પણ અમને સામેલ કરવામાં નહોતા આવ્યા. હવે તેમણે અવાજ તો કર્યો છે, પણ અમને વિશ્વાસ છે કે તે અમને સાથે નહીં લે.
