જગન્નાથ મંદિરમાં પ્રસાદ વિતરણ અંગે કેમ થયો વિવાદ? જાણો…

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં TMCએ દીઘામાં બનેલા જગન્નાથ મંદિરમાંથી પ્રસાદ વિતરણની જાહેરાત કરી હતી, જેને પગલે એક નવો વિવાદ ઉભો થયો છે. ભાજપે CM અને TMC પ્રમુખ મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેઓ 2026ની શરૂઆતમાં થનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા હિંદુ સમુદાયને રીઝવવા માટે રથયાત્રા ઉત્સવનું “રાજકીયકરણ” કરી રહ્યા છે. આ મામલાને લઈને ભાજપ અને TMC વચ્ચે રાજકીય ટકરાવ વધી ગયો છે.

ભાજપ વારંવાર TMC પર અલ્પસંખ્યકોના તુષ્ટિકરણનો આરોપ લગાવતો રહી છે. આ વિવાદમાં પણ ભાજપે મમતા સરકાર પર હલાલ પ્રસાદ વિતરણ કરવાનો તથા રાજ્ય સરકારનાં નાણાં અને મશીનરીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. TMC સરકારે રાજ્યભરમાં 10.4 મિલિયનથી વધુ ઘરો સુધી દીઘામાં જગન્નાથ ધામથી પ્રસાદનું ઘેરેઘર વિતરણની શરૂઆત કરી છે.

TMCએ પ્રસાદ વિતરણની જાહેરાત કરી હતી
શુક્રવારે TMCએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મમતા બેનર્જીની પહેલ પર દીઘાથી ભગવાન જગન્નાથનો દિવ્ય મહાપ્રસાદ હવે બંગાળમાં લોકોનાં ઘરો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. 27 જૂન સુધી નાગરિકો તેમના નજીકની રેશનની દુકાન પરથી પ્રસાદનું બોક્સ લઈ શકે છે. દરેક બોક્સમાં જગન્નાથજીનો ફોટો અને બે પરંપરાગત મીઠાઈઓ – પેંડા અને ગાજા છે. બન્નેની કિંમત 20 રૂપિયા છે, જે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી રહી છે. પેકેજિંગ અને વિતરણ માટે પણ સરકારે વધારાનું ફંડ આપ્યું છે.

ભાજપનો પલટવાર

મમતા બેનર્જીના પગલાનો સામનો કરવા ભાજપે યોજના ઘડી છે. વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી કે 27 જૂનથી શરૂ થતી રથયાત્રા દરમિયાન પાંચ દિવસ સુધી પુરીના જગન્નાથ મંદિરમાંથી લાવવામાં આવેલા પ્રસાદનું વિતરણ તામલુક શહેરના મંદિરમાંથી કરવામાં આવશે.