વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ મૃત્યુ

30 જુલાઈના રોજ, કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો ચુરલમાલા અને મુંડક્કાઈમાં છઠ્ઠા દિવસે પણ સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ સાથે જ રાજ્યના ત્રણ જિલ્લાના લોકો માટે જીવાદોરી સમાન ચલીયાર નદી ભૂસ્ખલન બાદ વિનાશનું પ્રતિક બની ગઈ છે.

કેરળના પર્યટન મંત્રી પીએ મોહમ્મદ રિયાસ કહે છે કે ઉત્તરી કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં છઠ્ઠા દિવસે બચાવ કામગીરી ચાલુ રહેશે અને વધુ દળો અને સાધનો એવા સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે જ્યાં મૃતદેહો બહાર આવવાની ઉચ્ચ સંભાવના છે.

તેમણે જણાવ્યું હતું કે વાયનાડ, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લામાંથી વહેતી ચાલિયાર નદીના 40 કિમીના પટમાં સર્ચ ઓપરેશન ચાલુ રહેશે, કારણ કે મલપ્પુરમમાં નીલામ્બુર નજીક ઘણા મૃતદેહો અને અવશેષો મળી આવ્યા હતા. ભૂસ્ખલનથી તબાહ થયેલા મુંડક્કાઈ અને ચુરલમાલા વિસ્તારોમાં બચાવ કામગીરી છેલ્લા કેટલાક દિવસોની જેમ ચાલુ રહેશે અને જ્યાં મૃતદેહો મળવાની શક્યતા વધુ છે ત્યાં વધુ દળો અને સાધનો તૈનાત કરવામાં આવશે.