‘ઈન્ડિયા’ને બદલે ‘ભારત’ નામઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

નવી દિલ્હી: શું તમને ખબર છે આપણા દેશના કેટલા નામ છે? ભારતના બંધારણના પ્રથમ અનુચ્છેદમાં લખ્યું છે ઈન્ડિયા એટલે કે ભારત. અહીં સવાલ એ છે કે, દેશ એક છે તો નામ એક કેમ નહીં. આ મામલો એક અરજી સ્વરૂપે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જેના પર આજે સુનાવણી કરવામાં આવશે.

અરજીકર્તાની માંગ છે કે, દેશનું નામ ઈન્ડિયાને બદલે ભારત કે હિન્દુસ્તાન જ હોવું જોઈએ. ઈન્ડિયા શબ્દ ગુલામીની નિશાની છે. દિલ્હીના ખેડૂતે જનહિત અરજી દાખલ કરીને બંધારણમાં કલમ-1માં ફેરફાર કરવાની માંગણી કરી છે. આ આર્ટિકલ દ્વારા જ દેશને અંગ્રેજીમાં ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી દેશના ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેન્ચમાં આજે કરાશે.

અરજી કરનારનું કહેવું છે કે, દેશનું નામ અંગ્રેજીમાં પણ ભારત કરવાથી લોકોમાં રાષ્ટ્રીય ભાવના વધશે અને દેશને એક અલગ ઓળખ મળશે. પ્રાચીનકાળથી જ દેશને ભારતના નામે ઓળખવામાં આવે છે. પરંતુ અંગ્રજોની 200 વર્ષની ગુલામીમાંથી મળેલી આઝાદી પછી અંગ્રેજીમાં દેશનું નામ ઈન્ડિયા કરી દેવામાં આવ્યું. દેશના પ્રાચીન ઈતિહાસને ભૂલવો ન જોઈએ. તેથી દેશના અસલી નામ ભારતને જ માન્યતા આપવી જોઈએ. અરજી કરનારનું કહેવું છે કે, અંગ્રેજો ગુલામોને ઈન્ડિયન કહેતા હતા. તેમણે જ દેશને અંગ્રેજીમાં ઈન્ડિયા નામ આપ્યું હતું.

15 નવેમ્બર 1948 બંધારણના આર્ટિકલ-1 વિેશે ચર્ચા કરતાં એમ. અનંતશયનમ અય્યંગર અને સેઠ ગોવિંદ દાસે દેશનું નામ અંગ્રેજીમાં ઈન્ડિયા રાખવાનો ખૂબ વિરોધ કર્યો હતો. તેમણે તે સમયે પણ દેશનું નામ અંગ્રેજીમાં ભારત, ભારતવર્ષ અથવા હિન્દુસ્તાન રાખવાનું સુચન આપ્યું હતું. પરંતુ તે સમયે આ વાત પર બહુ ધ્યાન આપવામાં નહતું આવ્યું.

કહેવાય છે કે, રાજા ભરતે ભારતનો સંપૂર્ણ વિસ્તાર કર્યો હતો અને તેમના નામ પરથી જ આ દેશનું નામ ભારત પડ્યું. મધ્ય યુગમાં તુર્ક અને ઈરાની લોકો અહીં આવ્યા તો તેમણે સિન્ધુ ઘાટીથી પ્રવેશ કર્યો. એ લોકો ‘સ’ નો ઉચ્ચારણ ‘હ’ કરતા હતા અને આ સિન્ધુનું અપભ્રંશ હિન્દુ થઈ ગયું. અને હિન્દુઓના દેશને હિન્દુસ્તાન નામ મળ્યું. ત્યારબાદ જ્યારે અંગ્રેજો આવ્યા તો તેમણે ઈન્ડસ વેલી એટલે કે સિન્ધુ ઘાટીના આધાર પર આ દેશનું નામ ઈન્ડિયા કરી દીધું કારણ કે ભારત કે હિન્દુસ્તાન શબ્દ બોલવો તેમના માટે અસુવિધાજનક હતું.